અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ તાલિબાને તેમની વચગાળાની સરકારની જાહેરાત કરી છે. એટલું જ નહીં પરતું તેમણે વડા પ્રધાનથી લઈને તમામ મંત્રીઓના નામ પણ દુનિયા સમક્ષ મૂક્યા છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સરકારનો શપથગ્રહણ સમારોહ ક્યારે થશે. આ અંગે આવતા મીડિયા અહેવાલો અનુસાર શપથગ્રહણ અમેરિકા માટે જખ્મ આપે એવું છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તાલિબાન 11 સપ્ટેમ્બરે અમેરિકા પર 9/11 હુમલાની 20 મી વર્ષગાંઠ પર તેની વચગાળાની સરકારના મંત્રીઓના શપથ સમારોહનું આયોજન કરી શકે છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તાલિબાન સરકારે શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ચીન, તુર્કી, પાકિસ્તાન, ઈરાન, કતાર, ભારત અને અમેરિકા સહિત વિવિધ દેશોને આમંત્રણ આપ્યું છે. તાલિબાને તેની સરકારના મંત્રીઓના નામની જાહેરાત કરી છે, જેમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં સરકાર એક રખેવાળ વ્યવસ્થા હેઠળ રચાઈ રહી છે. તાલિબાન આંતરરાષ્ટ્રીય માન્યતા માંગે છે અને અન્ય દેશોને તેમના દૂતાવાસ ફરીથી ખોલવા પણ કહ્યું છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અમારું માનવું છે કે રોકાણ માટે શાંતિ અને સ્થિરતા જરૂરી છે. અમે ચીન સહિત અમારા તમામ પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. મુજાહિદે કહ્યું કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે, હવે દેશ કટોકટીમાંથી બહાર આવી રહ્યો છે. હવે શાંતિ અને પુનનિર્માણનો સમય છે. અમને લોકોના ટેકાની જરૂર છે. અફઘાનિસ્તાનને માન્યતા મેળવવાનો અધિકાર છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે કાબુલમાં તેના દૂતાવાસ ખોલવા જોઈએ.