જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક શનિવારે બપોરે એક લેન્ડમાઈન બ્લાસ્ટમાં સેનાના એક અધિકારી સહિત બે જવાનોના મોત થયા હતા. વિસ્ફોટમાં અન્ય ત્રણ જવાન ઘાયલ થયા છે. બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી.
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે સેનાના જવાનો શનિવારે બપોરે રાજૌરી જિલ્લાના નૌશેરાના લામ સેક્ટરમાં કલાલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. નિયમિત પેટ્રોલિંગ દરમિયાન નિયંત્રણ રેખા નજીક એક લેન્ડમાઇન વિસ્ફોટ થયો, અચાનક થયેલા બ્લાસ્ટમાં સેનાના જવાનોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટનામાં એક લેફ્ટનન્ટ અને ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘાયલોમાં લેફ્ટનન્ટ અને જવાન શહીદ થયા છે. બંનેની ઓળખ લેફ્ટનન્ટ ઋષિ કુમાર અને સિપાહી મનજીત સિંહ તરીકે થઈ છે. જ્યારે અન્ય ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. તેમની સારવાર ચાલી રહી છે.
સેનાએ બંને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે શહીદોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી હતી. હાલમાં સેનાએ નિયંત્રણ રેખા પર સતર્કતા વધારી દીધી છે. આ સાથે જ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.
