આમ આદમી પાર્ટીને સોમવારે બીજો એક રાજકીય ઝટકો લાગ્યો છે. વિજય સુવાળા બાદ મહેશ સવાણીએ રાજીનામું આપી દીધું છે. તેઓ હવે માત્ર સમાજ સેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું કહેવાઈ રહ્યું છે તો બીજીબાજુ તેઓ ભાજપમાં પણ જોડાઈ શકે છે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
નોંધનીય છે કે, મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જૂન, 2021ની સુરતની મુલાકાતે વખતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ‘આપ’નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
‘આપ’માં જોડાયા બાદ મહેશ સવાણીએ કહ્યું હતું કે, ‘મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. સત્તાધીશો મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે.
મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 2019માં તેમણે ભાજપમાંથી ટિકિટ માગી હતી. મહેશ સવાણી અનાથ દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી તે મોટા પાયે આવા સમૂહ લગ્નોનું આયોજન કરે છે.