રાજ્યમાં ક્યાંક હળતો તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે અને હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને લીધે જામનગર જિલ્લાના કાલાવડ પંથકના નદી નાળાઓ છલકાયા છે. જેમાં કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાંથી પસાર થઈ રહેલી એક ખાનગી સ્કૂલ બસ ધસમસતા પાણીમાં તણાઈ હતી. જેને લઈને બસમાં રહેલા 9 જેટલા વિધાર્થીઓના જીવ તાળવે ચોટયા હતા. તો બીજી તરફ સ્કૂલ બસ પાણીમાં તણાઈ હોવાના અહેવાલને પગલે કાલાવડ ફાયરની ટુકડી તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી તો મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જે બાદ ફાયર અને ગ્રામજનોએ દોરડા વડે તેમજ JCBથી દિલધડક રેસ્ક્યુ કરી તમામ વિધાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, નાના વડાળા ગામમાં નદી ભરાઈ હોય તેમ ધસમસતું પાણી વહેતુ થયું હતું. ત્યારે 9 માસુમના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે, સદનસીબે કોઈ જાનહાની થતા અટકી હતી. અને ફાયર તેમજ ગ્રામજનોની જહેમત તેમજ સમય સુચકતાને લીધે તમામ વિધાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા હતા. અત્રે નોંધનીય છે કે, ભારે વરસાદમાં ધસમસતા પાણી નજીક, ડેમ પાસે, કે છલકાતા નદી-નાળાઓ નજીક ન જવું જોઈએ. અને તંત્ર તેમજ સરકારે કરેલ સાવચેતીના અપીલનું પાલન કરવું જોઈએ તે જ હિતાવહ છે.
આ પણ વાંચો : ગણદેવીમાં પ્રદેશપ્રમુખ પાટીલે બે ધારાસભ્યોનાં આંતરિક વિવાદને સ્વીકારતા કરી આવી વાત….