મુંબઈ
ક્રીએટીવ ફિલ્મ સર્જક સંજયલીલા ભણસાલીની બહુચર્ચિત આગામી ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર હાલમાં જ રીલીઝ કરવામાં આવ્યું હતું. જો કે, આ ફિલ્મનુ ટ્રેલર રીલીઝ થયા બાદ ફરી એક વાર કરણીસેનાએ ફિલ્મની રીલીઝને અટકાવવા આંદોલન શરુ કરી દીધુ છે.
રાજસ્થાનની શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના નામની સંસ્થાએ એવી જાહેરાત કરી હતી કે, ડાયરેક્ટર સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી અમે રાજસ્થાનમાં કોઈપણ હિસાબે રીલીઝ થવા નહીં દઈએ. અગાઉ રાજસ્થાનમાં શુટિંગ દરમિયાન કરણી સેનાના કેટલાક કાર્યકર્તાઓએ ફિલ્મના સેટ પર હિંસક હુમલો કર્યો હતો, જેમાં સંજયલીલા ભણસાલીને પણ થપ્પડ મારવાનો પ્રયાસ કરાયો હતો અને તેમના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા.ત્યારબાદ ભણસાલીએ લોકેશન બદલીને મહારાષ્ટ્રના એક નગરમાં શુટિંગ યોજ્યુ હતું, જાકે અહીં પણ કરણી સેનાએ હુમલો કર્યો હતો અને સેટનો મોટાભાગનો સામાન બાળી દીધો હતો.
હવે પદ્માવતી નું ટ્રેલર રીલીઝ થયું છે અને ફિલ્મ પણ ડિસેમ્બરમાં થિયેટરોમાં આવી રહી છે ત્યારે કરણીસેનાએ ફરી ધમકીઓ શરૂ કરી છે. પોતાને રાષ્ટ્રીય સંસ્થાના ગણાવતા લોકોએ એવી ધમકી ઉચ્ચારી છે કે અમે રાજસ્થાનમાં આ ફિલ્મ રજુ નહીં થવા દઈએ.
સંસ્થાના પ્રમુખ સુખદેવ સિંઘ ગોગામેડીએ ફેસબુક પર પોસ્ટ કરેલ એક વીડિયોમાં ધમકી ભર્યો મેસેજ આપતા જણાવ્યુ છે કે, આ ફિલ્મમાં ઇતિહાસ તોડી મરોડીને રજુ કરવામાં આવ્યો છે અને એમ કોઈપણ હિસાબે પદ્માવતી ફિલ્મને રાજસ્થાનમાં રીલીઝ નહીં થવા દઈએ.
સુખદેવ સિંહે આ ફિલ્મની રીલીઝ અટકાવવા પીએમ નરેન્દ્ર મોદી અને સ્મૃતિ ઇરાનીને દરમિયાનગીરી કરવા અપીલ કરી છે.