ભગવાન કૃષ્ણની જન્મ જયંતિ અમદાવાદ સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી હતી. રાત્રે ૧૨ વાગતા જ મંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’, ‘હાથી-ઘોડા-પાલખી જય કનૈયાલાલ ‘ , ‘બોલ મેરે ભૈયા ક્રિષ્ન કનૈયા’ના નાદથી ગૂંજી ઉઠયા હતા. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, ડાકોર, શામળાજીમાં સેંકડો ભક્તો ઉમટી પડયા હતા. મંદિરમાં ‘લાલા’ની એક ઝલક મેળવીને કેટલાક ભક્તો હર્ષના આંસુ પણ રોકી શક્યા નહોતા.અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે.દર્શનની એક ઝલક માટે ભકતો લાઇનમાં ઉભા છે.
આજે કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તો થનગની રહ્યા છે ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો કૃષ્ણભક્તિમાં લીન થઈ રહ્યા છે. ઇસ્કોન મંદિર ખાતે ‘હરે કૃષ્ણ હરે રામ’ ના નાદ સાથે મંદિરમાં પરિસર ગુજી ઉઠ્યું છે. તો હરે કૃષ્ણ હરે રામના નાદ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. ઇસ્કોન ખાતે રાત્રિ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા કુષ્ણ ભક્તિ કરવામાં આવશે. ઇસ્કોન મંદિરમાં રાધા કૃષ્ણ માટે વિશેષ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મધ્ય રાત્રિએ કુષ્ણ જન્મોત્સવ આરતી અને પૂજનનું પણ આયોજન કરાયું છે
એસજી હાઇવેમાં ઇસ્કોન મંદિર, સોલામાં ભાગવત વિદ્યાપીઠ, ભાડજમાં હરેકૃષ્ણ મંદિર જેવા ભગવાન કૃષ્ણના પ્રખ્યાત કૃષ્ણ મંદિર આવેલા છે. જેના પગલે આ મંદિરોમાં સોમવારે વહેલી સવારથી જ દર્શનાર્થીઓનું આગમન શરૃ થઇ ગયું હતું. ખાસ કરીને બપોર ૪ થી મોડી રાત સુધી એસજી હાઇવે ખાતે લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. આ ઉપરાંત કેટલાક મંદિરમાં પાર્કિંગની અપૂરતી વ્યવસ્થાને લીધે પણ ભક્તોને પોતાનું વાહન ક્યાં પાર્ક કરવું તે સમસ્યાનો સામનો કરવો પડયો હતો.