Gandhinagar News : BZ FINANCIAL SERVICES તથા BZ Group દ્વારા લોકોને ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને છેતરપિંડી તથા ચીટ ફંડ કૌભાંડ ચાલતું હોવાની નનામી અરજી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને મલી હતી. જેની તપાસમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને અન્ય જીલ્લાઓમાં હિંમતનગરના ઝાલાનગરના રહેવાસી ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા તથા તેમના મળતીયાઓના નામ બહાર આવ્યા હતા.જેને પગલે આ તમામ ઠેકાણે આવેલી ખાનગી ઓફિસો પર મંગળવારે CID ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડો પાડતાં ચકચાર મચી જવા પામી હતી.
ત્રણ વર્ષમાં ફિક્સ ડિપોઝિટ ડબલ કરી આપવાનું કહી તેમજ રોકાણ પર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી રૂ.6 હજાર કરોડ ઉઘરાવી લેનારી BZ ફાઇનાન્શિયલ સર્વિસની 7 જિલ્લામાં આવેલી ઓફિસો પર CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા. આ કંપનીની ઓફિસો ગુજરાત તેમજ રાજસ્થાનમાં પણ આવેલી હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસના દરોડાના પગલે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં છે. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલાં અમને એક નનામી અરજી મળી હતી.
જેમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને બીઝેડ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી, જ્યાં એજન્ટોની ચેઈન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું.સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો છે. કરોડો રૂપિયાના રોકાણ મેળવી ભૂપેન્દ્ર ઝાલા એકાએક ભૂગર્ભમાં ઊતરતાં રોકાણકારોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ગેરકાયદે રીતે લોભામણી લાલચો વડે રોકાણ કરાવતા હોવાને લઈ CID ટીમે દરોડો પાડી એજન્ટોની પૂછપરછ કરી હતી. બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

જોકે ધાર્યો માહોલ નહિ જામતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં ઈન્કમટેક્સ રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી. વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક હતી, જ્યારે વર્ષ 2021-22માં આવક 9.79 લાખ રૂપિયા આવક હતી. માત્ર નજીવી આવક સામે 6000 કરોડનું રોકાણ મેળવ્યું હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે.
સોનુ સૂદે ભૂપેન્દ્ર ઝાલાને સન્માનિત કર્યા હતા
મુંબઈ ખાતે યોજાયેલા BIAA બોલિવૂડ એવોર્ડ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દ્વારા BZ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા, સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સોનુ સૂદને હસ્તકલા આર્ટ ભેટમાં આપી હતી.રોકાણકારોનાં નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા કે કેમ એની આશંકા હાલ સેવાઈ રહી છે. મહિને એક ટકાના લાલચમાં એજન્ટોએ કરોડોનું રોકાણ કરાવ્યું હતું. રોકાણકારને ત્રણેક વર્ષમાં જ એકના ડબલ કરવાની લોભામણી લાલચ દર્શાવી હતી. મોટી સંખ્યામાં રોકાણકારો ખેડૂતો, શિક્ષકો અને પોલીસકર્મચારીઓ, અધિકારીઓ છે. સતત બીજે દિવસે બીઝેડ ગ્રુપની તમામ ઓફિસોનાં શટર બંધ જોવા મળ્યાં હતાં.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા BZ દ્વારા પોન્ઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ, ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોન્ઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી. રોકાણકારોને દર મહિને તગડું વ્યાજ આપવામાં આવતું હતું. એના લીધે BZ ગ્રુપ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઇ ગયો હતો. મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી BZ ગ્રુપની શાખાઓમાં CID ક્રાઇમે એકીસાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબજે લઇ લીધા છે.

હિંમતનગરમાં વ્યાપાર ભવન ખાતે આવેલી બીજે માળની BZની ઓફિસમાં CIDની રેડ સવારથી ચાલી રહી હતી, જેમાં કેટલાક એજન્ટો પણ હતા, જેમની તપાસણી બાદ અંદાજે રૂ. 20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળ્યા છે, એની કામગીરી મોડીરાત સુધી ચાલી રહી હતી. જ્યારે એક વાહનના દસ્તાવેજો પણ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો CIDની અલગ અલગ ટીમોએ સવારથી હિંમતનગર સહિત ગુજરાતભરમાં રેડ કરી હતી.આ કંપનીએ રાષ્ટ્રીય કૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતાં પણ વધારે વ્યાજ અને વળતરની લાલચ આપી લોકો પાસેથી રૂ.6 હજાર કરોડ ઊઘરાવી લીધા હતા.
CIDની ટીમે આ નનામી અરજીની તપાસ કરતાં કંપનીએ ગુજરાતમાં તલોદ જિલ્લાના રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા અને અરવલ્લી જિલ્લાના માલપુરમાં ઓફિસો શરૂ કરી હતી.એજેના આધારે સીઆઈડી ક્રાઈમના 50થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓની 7 ટીમે એકસાથે તમામ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા, જેમાંથી મોટા ભાગની ઓફિસોમાંથી મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા.આ સાથે પોલીસને 2 બેંક એકાઉન્ટ મળ્યાં હતાં. એ બંને બેંક એકાઉન્ટમાં રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાં હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસનું કહેવું છે કે આ તમામ ડોક્યુમેન્ટ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જરૂર જણાશે તો આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે રાજસ્થાનમાં આવેલી ઓફિસોમાં દરોડા પાડતાં રાજસ્થાન પોલીસ સાથે સંકલન કરી તેમને જાણ કરવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અન્ય શહેરો, જિલ્લા તેમજ ગામડાંમાં પણ ઓફિસો શરૂ કરી હતી, જેનું સંચાલન એજન્ટો કરતા હતા, આથી જે ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા છે એ સિવાયની અન્ય ઓફિસનાં સરનામાં મેળવવામાં આવ્યાં છે. બુધવારે પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવશે. આ સાથે પોલીસે સ્ટાફ મેમ્બર્સની પણ પૂછપરછ શરૂ કરી છે.ઓફિસોમાંથી આ ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા
આરોપીઓ ઉંચા વળતરની લાલચ આપતા હતા જેમકે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરે તો 32 ઈંચનું ટીવી અથવા મોબાઈલ, 10 લાખ રૂપિયાનું રોકાણ કરે તો રોકાણકારને ગોવાનો પ્રવાસ, તથા ફિક્સ એફડી અને રોકાણ પર 7 ટકા વ્યાજ લેખિતમાં અને મૌખિકમાં 18 ટકા વ્યાજની જાહેરાતો કરી હતી.
ક્યાં ક્યાં કંપનીઓખોલી હતી
1. ક્રિશ્ના કોન્પ્લેક્સ, રણાસણા, સાબરકાંઠા
2. વ્યાપાર ભવન કોમ્પ્લેક્સ ન્યાય મંદિર, હંમતનગર
3. અક્ષર આર્કેડ ચી.બી.રોડ, વિજાપુર
4. સંસ્કૃતિ કોમ્પ્લેક્સ મોડાસા, અરવલ્લી
5. શ્રીજી કોમ્પ્લેક્સ મોડાસા રોડ, અરવલ્લી
6. વ્હાઈટ હાઉસ સેક્ટર-11, ગાંદીનગર
રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેક્શનવાળાં 2 બેંક એકાઉન્ટ
રોકાણકારો સાથેનાં એગ્રીમેન્ટ
એપ્લિકેશન ફોર્મ
ફિક્સ ડિપોઝિટનાં ફોર્મ, કેશ વાઉચર
રિન્યૂઅલ ફોર્મ, એડવાન્સ અમાઉન્ટ ફોર્મ
રોકાણકારોના ચોપડા, વિડ્રોઅલ ફોર્મ
સીઇઓ તેમજ એજન્ટો ફરાર થઈ ગયા
પોલીસનું કહેવં છે કે દરોડામાં એકપણ ઓફિસમાંથી સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે એકપણ એજન્ટ મળ્યા ન હતા. દરેક જગ્યાએથી ઓફિસમાં નોકરી કરતા કર્મચારીઓ મળ્યા હતા, જોકે તેઓ આ કૌભાંડ વિશે કશું જાણતા ન હતા, જેથી પોલીસે ભૂપેન્દ્રસિંહની શોધખોળ શરૂ કરી એજન્ટોનાં નામ – સરનામાં મેળવીને તેમને પકડવા તજવીજ શરૂ કરી હતી.
આ પણ વાંચો: જામનગરનાં લાલપુરમાં ખનીજ ચોરી મામલે મામલતદારની કાર્યવાહી
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: સાયલાની ગૌચર જમીનમાંથી રેતીની વ્યાપક ખનીજ ચોરી
