Gujarat News: ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર વસંત પરેશનું નિધન થયું. હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી. વસંત પરેશની અંતિમ યાત્રા જામનગરમાં સાંજે તેમના નિવાસસ્થાન મંગલબાગ ખાતેથી નીકળશે. 70 વર્ષીય વસંત પરેશને વય સંબંધિત બીમારીને લઈને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે વ્યારાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવદેહને જામનગર લાવવા રવાના થયા છે અને સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાન જામનગરના મંગલબાગ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળશે.
આ પોસ્ટમાં તેમણે લખ્યું કે વસંત પરેશ “બંધુ”ના નામથી વધુ જાણીતા થયા છે. હાસ્ય કલાકાર તરીકે તેમની વાત કરવાની શૈલી અન્ય કલાકારો કરતા અલગ હતી. વધુમાં તેમણે લખ્યું કે “બંધુ”ના નામથી પ્રખ્યાત થયેલા હાસ્ય કલાકાર વસંત પરેશની ખ્યાતિ ફક્ત ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં પણ ફેલાઈ છે.
પોતાની આગવી શૈલીમાં લોકોના ચહેરા પર હાસ્ય ફેલાવનાર વસંત પરેશ આજે આપણી વચ્ચે રહ્યા નથી. હાસ્યજગતમાં વસંત પરેશ વધુ જાણીતું નામ છે. તેઓ ગંભીર મુદ્રામાં હળવી વાતો કહી લોકોને હસાવતા. મોટાભાગે તેઓ તેમના પ્રોગ્રામની શરૂઆત શાયરીથી કરતા અને બાદમાં એક-પછી એક જોક્સ હાસ્યનો છોળો ઉડાવતા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરતા. 70 વર્ષની વયે વસંત પરેશે ચિર વિદાય લેતા હાસ્યજગતમાં શોકનો માહોલ છવાયો.
આ પણ વાંચો: સુરત ભાજપ મહિલા મોર્ચા નેતા દિપીકા પટેલની આત્મહત્યાનું રહસ્ય ઘેરાયેલું
આ પણ વાંચો: સુરતમાં દિકરાને ઝેરી દવા પીવડાવીને માતાની આત્મહત્યા
આ પણ વાંચો: સુરતના મહુવાની યુવતીની લગ્ન પછી યુએસ ગયાના ત્રણ જ મહિનામાં આત્મહત્યા?
