Surat News: સુરત(Surat)માં તબીબ(Doctor)ની બેદરકારીથી 30 વર્ષીય મહિલાનું મોત થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગર્ભાશય(Uterus)ની સારવાર માટે મહિલાને નવી સિવિલ ખસેડાઇ હતી. સારવાર બાદ મહિલાને સિવિલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, અચાનક ફરીથી તબિયત લથડતા મહિલાને અન્ય હોસ્પિટલ લઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં તબીબની બેદરકારીથી 30 વર્ષની પરવીન મિર્ઝા નામની મહિલાનું મોત નિપજ્યું છે. મળતા અહેવાલો મુજબ પરવીન મિર્ઝા ગર્ભાશયની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. જોકે, બાદમાં તેને રજા પણ આપી દેવાઈ હતી. પછીથી ફરીથી તબિયત બગડી હતી તો તેને બીજી હોસ્પિટલમાં લઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો છે. સિવિલમાં ઓપરેશન દરમિયાન આંતરડાના ભાગે કટ વાગ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પરિવારની જાણ બહાર મહિલાને ઘણા સમયથી ICUમાં રખાઇ હતી તેમ પણ પરિવારે જણાવ્યું છે.
વધુમાં મોત થયા બાદ પણ પરિવારને જાણ ન કરાઇ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલો ઉગ્ર બનતા અંતે નવી સિવિલના તબીબોએ મહિલાનું મોત થયાનું કબૂલ્યું છે. મૃતક મહિલા પરવીન મિર્ઝાને પરિવારમાં ત્રણ નાના બાળકો હતા. પોલીસ ફરિયાદ (Police Complaint) વગર મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારે ચીમકી ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા.
