Anand News : ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આણંદ જિલ્લાના સોજીત્રામાં નિશા વ્હોરા નામની યુવતીએ પોતે DySP હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતી હોવાનો દાવો કરીને સનસનાટી મચાવી દીધી છે. જો કે, વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આ દાવાને પોકળ ગણાવીને નિશા વ્હોરાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.
યુવરાજ સિંહે પુરાવા સાથે જણાવ્યું છે કે નિશા વ્હોરાએ GPSCની પરીક્ષા પાસ કરી નથી કે તેની DySP તરીકે નિમણૂક પણ થઈ નથી. તેમણે છેલ્લા પાંચ વર્ષના GPSCના પરિણામો અને નિમણૂંકોની તપાસ કરીને આ દાવો કર્યો છે.
નિશા વ્હોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત અનેક રાજકીય નેતાઓ સાથે ફોટા પડાવીને પોતાની ઓળખને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેણે તેલંગાણા રાજભવન, સરદાર પટેલ યુનિવર્સિટી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામના પ્રશસ્તિપત્રો પણ મેળવ્યા હતા.
નિશા વ્હોરાએ મુસ્લિમ સમાજ સહિત અનેક સામાજિક સંગઠનોના કાર્યક્રમોમાં હાજરી આપીને GPSC પાસ કરીને DySP બની હોવાનો દાવો કર્યો હતો. સ્થાનિક મીડિયામાં પણ નિશા વ્હોરાની સફળતાની કહાણીઓ પ્રકાશિત થઈ હતી. સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ તેને DySP તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
એક અહેવાલ મુજબ, નિશા વ્હોરાએ GPSC વર્ગ-3ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને UPSCની તૈયારી કરતી હોવાનો દાવો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે ક્લાસિસમાં ગયા વિના 12-12 કલાક મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતી હતી.
જ્યારે આણંદના DSP જી.જી. જસાણીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP અજીત રાજીયાણે જણાવ્યું હતું કે નિશા વ્હોરા નામની કોઈ અધિકારી તેમના વિભાગમાં નથી, આ એક સ્કેમ પોસ્ટ હોઈ શકે છે.
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા
આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ
