Ahmedabad News : મંગળવારે જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)ના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Terrorist Attack)માં ત્રણ ગુજરાતીઓના મોત થયા હતા. જેમાં ગોળીબારમાં ભાવનગર (Bhavnagar)ના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું મોત થયું હતું. આજે મૃતક સ્મિત અને યતીશભાઈની અંતિમયાત્રા એકસાથે શરૂ થતાં જ આખા શહેરના લોકો શોકમાં ડૂબી ગયા હતા. અંતિમયાત્રામાં CM ભુપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.

ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે,જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા હતા.

આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના સતત દિશા-નિર્દેશનમાં જરૂરી તમામ વ્યવસ્થા ગુજરાત વહીવટી તંત્ર એ કાશ્મીર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહીને કરી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ ઘટના ઉપર સતત નજર રાખી રહ્યા છે. પાકિસ્તાની વધુ એક નાપાક હરકત દેશ અને દુનિયાએ જોઈ લીધી છે. આતંકવાદીઓએ હિન્દુઓને શોધીને જે મારવાની નીતિ અપનાવી છે તેના કારણે આજે દેશ અને દુનિયા સ્તબ્ધ છે.

એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમ સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિકે પણ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત
