Surat News: સુરતમાં ભારે વરસાદે બધાની સ્થિતિ ખરાબ કરી દીધી છે. વરસાદ બંધ થયા પછી પણ કેટલાય સમય સુધી સુરતમાં ખાડીના પાણીના લીધે પાણી ભરાયેલા રહ્યા હતા. હવે વરસાદના પાણી ઓસરી ગયા છે તો સુરતી લાલાઓ ચોમાસા દરમિયાન પડેલા ખાડાથી ત્રસ્ત છે. નીંભર તંત્ર આ ખાડા પૂરવા માટે કોઈ કાર્યવાહી કરતું ન હોવાના કારણે પ્રજાની હાલાકીમાં અનેકગણો વધારો થયો છે.
સુરતની પ્રજાને પડેલી આ હાલાકીનો કોંગ્રેસે સાવ અનોખી રીતે વિરોધ કર્યો છે. તેણે ખાડા મહોત્સવની ઉજવણી કરી છે. તેની સાથે ઉજવણી પેટે તેણે લોકોને પેડાં પણ વહેંચ્યા છે, આ ઉપરાંત જે-જે વિસ્તારોમાં ખાડા છે ત્યાંના લોકોની સહનશક્તિને બીરદાવતા તેમનું અભિવાદન કર્યુ છે.
કોઈ યાત્રા કાઢતા હોય તેમ ખાડા મહોત્સવની ઉજવણીની યાત્રા કાઢીને પ્રજાની લાગણીનું પ્રતિબિંબ અનોખી રીતે પાડ્યું છે. તેની સાથે તેની વિરોધની આ આગવી શૈલીએ લોકોને દુઃખમાં પણ હસતા કરી દીધા હતા. કેટલાય વિસ્તારના લોકો આ વિરોધમાં જોડાયા હતા. કોંગ્રેસે ખાડાથી સૌથી વધુ અસર પામેલા પર્વત પાટિયા વિસ્તારમાં આ દેખાવ કર્યા હતા.
કોંગ્રેસે દાવો કર્યો હતો કે સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશને ખાતરી આપી હતી કે પૂરના પાણી ઓસરી ગયા પછી ચાર દિવસની અંદર એકપણ ખાડા જોવા નહીં મળે. અમે તેમની ખાતરી પર વિશ્વાસ કરી ધીરજ રાખી, પરંતુ આજે તેમની વાતને અઠવાડિયાનો સમય થઈ ગયો હોવા છતાં આવી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. લોકો ખાડા અંગે રજૂઆત કરવા જાય છે તો તંત્ર તેમને યોગ્ય જવાબ આપતું નથી.
તંત્રનો વર્તાવ જાણે ખાડાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવાનો છે. રસ્તાઓ પરના ખાડા અંગેની કોઈ જવાબદારી કોર્પોરેશન લેવા માંગતુ નથી. શું કોઈ સુરતી લાલાના મોત પછી જ તંત્ર જાગશે. આખા શહેરને દેખાતા ખાડા તંત્રના આંખે કેમ પડતા નથી. શું તંત્રમાં કામ કરનારા લોકો એવા તે કયા રસ્તા પરથી આવે છે જેમને આ ખાડા દેખાતા નથી. મ્યુનિ. કમિશ્નરથી લઈને કોર્પોરેટર આખુ તંત્ર જાણે વરસાદ પાણીની સાથે તેમની બુદ્ધિને પણ તાણી ગયું હોય તે રીતે કેમ વર્તી રહ્યું છે.
આ પણ વાંચોઃ સુરત સર્કિટ હાઉસના વિવાદ મામલે મંતવ્ય ન્યુઝના અહેવાલની ધારદાર અસર
આ પણ વાંચોઃ સુરતમાં મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર નવા બ્રિજમાં ગર્ડર મુકાયું
