Valsad News:વલસાડ (Valsad) ડાંગ (DANG) ના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને ચાલતી અફવાઓ અને ખોટી માહિતીનો ડંકો વગાડી દીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ જ કાર્ય થવાનું નથી અને આ બાબતે કોંગ્રેસ તેમજ તેના નેતા અનંત પટેલ દ્વારા આદિવાસી સમાજને ભ્રમિત કરવા જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. સાંસદના આ નિવેદનને ધરમપુર વિધાનસભા વિસ્તારના આદિવાસી સમાજે પૂર્ણ સમર્થન આપ્યું છે, જેના પુરાવા રૂપે વિસ્તારના ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે.

ધરમપુર વિધાનસભા વિસ્તારના જાગીરી, નડગધરી રોડ, બરડા, શીશુમાળ, પાંડલખડક સહિતના ગામોમાં આદિવાસી સમાજના યુવાનોએ સાંસદ ધવલભાઈ પટેલના સમર્થનમાં બેનરો લગાવ્યા છે. આ બેનરો દ્વારા સ્થાનિક લોકોએ સરકાર અને સાંસદની ખાતરી પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધવલભાઈ પટેલે આદિવાસી સમાજને ચોક્કસ ખાતરી આપી છે કે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનું કોઈ કામ આગળ વધવાનું નથી. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ વર્ષ 2022માં જ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે.

સાંસદ ધવલ પટેલે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ અને તેના નેતા અનંત પટેલ દ્વારા પોતાનો રાજકીય રોડમેપ બનાવવા માટે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ દ્વારા ખોટી માહિતી ફેલાવીને આદિવાસી લોકોમાં ભય અને ગેરસમજ ઉભી કરવામાં આવી રહી છે, પરંતુ હું સ્પષ્ટપણે જણાવું છું કે આ પ્રોજેક્ટનું કોઈ અસ્તિત્વ નથી.” આ નિવેદનથી આદિવાસી સમાજમાં સરકાર અને સાંસદ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી, જેના કારણે આદિવાસી સમાજમાં અનેક શંકાઓ ઉભી થઈ હતી. જોકે, સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે આ પ્રોજેક્ટને વર્ષ 2022માં જ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે. આમ છતાં, કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ખોટી માહિતી ફેલાવીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ ધવલભાઈએ કર્યો છે.
આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, 3 ઇંચથી વધુ વરસાદ
આ પણ વાંચો: વલસાડમાં 14 વર્ષીય સગીરાનો આપઘાત, અતુલ કોલોનીમાં ચકચાર
