Ahmedabad News : અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતી 26 વર્ષની પરિણીતાએ પોતાના ત્રણ વર્ષના માસુમ બાળક સાથે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં બન્નેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પરિણીતાએ બાળક સાથે ચાલુ ટ્રેન નીચે પડતું મુક્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. સાસરીયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી પરેશાન મહિલાએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.
આ બનાવ અંગે મળેલી માહિતી મુજબ સાસરિયાના ત્રાસથી કંટાળીને અમદાવાદના બોડકદેવમાં રહેતી 26 વર્ષીય મહિલાએ પોતાના 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું. બાદમાં ટ્રેક પરથી બે મૃતદેહો મળી આવ્યાની જાણ રેલ્વે સત્તાધીશોએ પોલીસને કરી હતી, બાદમાં આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. બાળકને મહિલા પોતાની સાથે લઈ ગઈ હતી.બાદમાં તેણે જાણી જોઈને ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.
પોલીસ દ્વારા આ સમગ્ર ઘટના સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પરિવાર દ્વારા ક્રૂરતાના આક્ષેપો સામે આવ્યા છે. પોલીસે બંને મૃતદેહને હાલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
બોડકદેવ પોલીસે મૃતક મહિલાના પતિ હસમુખ મકવાણા, સસરા કાનુભાઈ મકવાણા અને સાસુ શારદાબહેન મકવાણા વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ખાતરી આપી છે કે, તપાસ દરમિયાન જે પુરાવા સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
