Gujarat News : મલાક્કા અને બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. જેને લઈને સેન્યાર વાવાઝોડું આવવાનો ખતરો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડાની અસર આજથી જોવા મળી શકે છે. કેટલાક રાજ્યોમાં સેન્યાર વાવાઝોડાની અસરને કારણે વરસાદ પણ પડી શકે છે. ત્યારે શું આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે કે નહીં?
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે દક્ષિણ અંડમાન સમુદ્ર પર નીચું દબાણ ધરાવતું ક્ષેત્ર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. આ કારણે સોમવારથી વાવાઝોડું સેન્યાર તીવ્ર બનશે. 24 નવેમ્બરે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અંડમાન સમુદ્ર પર ડિપ્રેશન બની શકે છે. હવામાન વિભાગે તમિલનાડુ અને કેરળમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ પડી શકે છે.સેન્યાર વાવાઝોડાની અસરો આજથી જોવા મળી શકે છે.
વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધવાની સંભાવના છે. જ્યારે દિલ્હી-એનસીઆરમાં પણ ઠંડીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદની સંભાવના નથી. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ સાથે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી. ગુજરાતમાં અત્યારે ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે.અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 25-26 નવેમ્બર બાદ લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને ત્યારબાદ 17 ડિગ્રી રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહી શકે છે. એટલે કે લોકોને સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે. આમ લોકોએ બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે.
15થી 17 ડિસેમ્બર ગુજરાતમાં માવઠાની સંભાવનાની અંબાલાલ પટેલની આગાહી છે. 15થી 17 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, સામાન્ય વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં પડવાની સંભાવના છે, એમ તેમણે જણાવ્યું હતું. ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષોભની સંભાવના છે, જેના કારણે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં માવઠું પડી શકે છે. સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં 20 ડિસેમ્બરથી હિમ વર્ષાની પણ સંભાવના છે. 22 ડિસેમ્બર બાદ ભારે ઠંડી પડવાની સંભાવના હોવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલનું કહેવું છે. ડિસેમ્બરના અંતમાં વાતાવરણમાં પલટો આવશે અને ઠંડીમાં વધારો થઈ શકે છે. જ્યારે જાન્યુઆરીમાં ઠંડી ભુક્કા કાઢી નાખશે. તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ ગુજરાતમાં માવઠું પડી શકે છે.
