Rajkot News: રાજકોટના ધોરાજીના યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે. સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ઘટી છે. યાર્ડમાં ડુંગળીની દરરોજ 1,200 કટ્ટા જેટલી આવક થઈ રહી છે. આમ વાર્ષિક ધોરણે જોઈએ તો ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે. હવે આ ઘટાડો ઓછા પાકના કારણે થઈ રહ્યો છે કે ભાવ ઓછો હોવાથી ઓછી આવકના કારણે થઈ રહ્યો છે તે જોવાનું રહેશે.
રાજકોટના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ પ્રતિ મણના 100થી 300 રૂપિયા સુધી બોલાયા છે. હાલના ભાવથી પણ ખેડૂતો અસંતુષ્ટ જોવા મળ્યા છે. ખેડૂતોનું માનવું છે કે ડુંગળીનો ભાવ પ્રતિ મણ 500 રૂપિયા મળવો જોઈએ. આ બતાવે છે કે ખેડૂતોને મળતું વળતર હંમેશા કેટલું ઓછું રહે છે. દર વખતે ખેડૂત તેના કારણે સતત પસ્તાતો રહે છે.
આમ ડુંગળીના ભાવને લઈને ખેડૂત અને વેપારી બંનેના સામસામા રાહ છે. વેપારી ખેડૂતને પ્રતિ મણ 100થી 300 રૂપિયા કરતાં વધુ આપવા તૈયાર નથી. તેની સામે ખેડૂતને પ્રતિ મણ 500 રૂપિયાથી ઓછું કશું ખપતું નથી. ખેડૂતનું કહેવું છે કે ડુંગળીના મણના 200થી સવા બસો રૂપિયા માંડ મળે છે ત્યાં મજૂરી પણ નીકળતી નથી. સરકાર જો ધ્યાન આપે તો સારું છે. સરકાર ડુંગળીની નિકાસની છૂટ આપે તો કંઇક અમારી સ્થિતિમાં સુધારો થાય, નહીં તો અમારી સ્થિતિ આવી જ રહેશે. બાકી હાલના ભાવમાં તો બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચો પણ માંડ નીકળે છે, ઉપરથી મજૂરી ચઢી જાય છે.
જ્યારે એપીએમસીના વેપારી સુરેશભાઈ રાબડિયાએ જણાવ્યુ હતું કે ડુંગળીના ભાવ હાલમાં મણ દીઠ 100થી લઈને 300 રૂપિયા સુધી બોલાયા છે. આગામી દિવસોમાં ડુંગળીની ગુણવત્તા સારી આવતા તેના ભાવ વધુ ઊચકાશે તેમ તેમનું કહેવું છે. આ ઉપરાંત સરકાર બાંગ્લાદેશમાં ડુંગળીની નિકાસ માટે છૂટ આપે તેવી સંભાવના છે. આમ થયું તો પણ ડુંગળીના ભાવમાં વધારો થઈ શકે છે. તેમણે સ્વીકાર્યુ હતું કે હવે જેમ-જેમ ઊંચી ગુણવત્તાવાળી ડુંગળી આવશે તેમતેમ ભાવ પણ ઉચકાશે.
આ પણ વાંચો: એક વર્ષ માટે રાજકોટ જિલ્લા બેંક કોઈપણ વ્યાજ વિના ખેડૂતોને લોન આપશે
આ પણ વાંચો: રાજકોટમાં એક જ દિવસમાં બે ખેડૂતની આત્મહત્યા
આ પણ વાંચો: રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું સહકારી મહાસંમેલન, ખેડૂતોનું શક્તિ પ્રદર્શન
