કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ માંડ શાંત પડ્યુ નથી ત્યાં ત્રીજી લહેરના ભણકારા સંભળાઇ રહ્યા છે. એ વાતમાં જરાય અતિશયોક્તિ નથી કે કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થયા હતા, ત્યારે આગામી સંભવિત ત્રીજી લહેરમાં તેમના માટે રાજ્યમાં જુદી જુદી સિવિલ હોસ્પિટલમાં પીડીયાટ્રીક હોસ્પિટલ ઊભી કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે ગાંધીનગર મહાત્મા મંદિરમાં પણ 100 બેડની પીડીયાટ્રીક હોસ્પિટલ ઊભી કરાશે. જ્યાં 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકો અને ટીનેજને રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે, ત્યારે 900 બેડની આ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બાળકો માટેની પીડીયાટ્રીક હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને આગામી સમયમાં કોરોનાની અસર બાળકો પર પણ થઈ શકે છે. જેની અગાઉની તૈયારીના ભાગરૂપે આ આયોજન કરવાનું નક્કી કરાયું છે. હોસ્પિટલમાં બાળકોને અનુરૂપ વાતાવરણ ઊભું થઈ શકે તે પ્રકારની ખાસ વ્યવસ્થા પણ ઊભી કરાશે.
ત્રીજી લહેરમાં દરેક મેડિકલ કોલેજોને 100 બેડની પીડીયાટ્રીક હોસ્પિટલ બનાવવાના આદેશના ભાગરૂપે આ હોસ્પિટલમાં પણ 100 બેડની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવશે. જોકે ડીઆરડીઓ દ્વારા ત્યાં 900 જેટલા બેડ અત્યારથી જ તૈયાર કરી દેવામાં આવ્યા છે, ત્યારે ત્રીજી લહેરમાં 900 બેડની અંદર જ 100 બેડ બાળકો માટે ફાળવવામાં આવશે. જેમાં આઇસીયૂના 20 બેડ હશે. જ્યારે 80 બેડ ઓક્સિજનના હશે. નિષ્ણાંતો દ્ધારા ત્રીજી લહેર આવવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે, ત્યારે બાળકોનું પણ ધ્યાન રાખવા માટે આ પૂર્વ આયોજન કરવામાં આવનારુ છે. આવ્યું છે.બાળકોને હોસ્પિટલમાં યોગ્ય પ્રકારનું વાતાવરણ મળી રહે તે પ્રકારે તેમનો વૉર્ડ તૈયાર કરવામાં આવશે. કલરફુલ વોલ તેમના વૉર્ડમાં ડિઝાઇન કરવામાં આવશે.
આ ઉપરાંત બાળકો માટે ગેમ ઝોન અને પ્લે એરિયા પણ બનાવવામાં આવશે. જોકે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. તેમના માટે અલગથી વૉર્ડમાં આ પ્રકારનું આયોજન કરવાનું બાકી છે. આ ઉપરાંત કેટલાક મેડિકલ ઇક્વિપમેન્ટ લગાવવાના બાકી છે. જેથી આગામી એક મહિનાની અંદર પીડીયાટ્રીક હોસ્પિટલ ઊભી થઇ શકે તેવી શક્યતાઓ છે.
