કોઈ બિમારી ન હોવા છતાં ઉંઘ ન આવતી હોય તો બે કારણો હોય શકે. કરવાનું કામ રહી ગયું હોય અથવા ન કરવાનું કામ થઈ ગયું હોય. ગમે તેટલા બળવાન હોઈએ પણ અધર્મનો સાથ આપીશું તો શક્તિ, અસ્ત્ર, શસ્ત્ર, વિદ્યા, વરદાન બધું જ નકામું થઈ જશે.
આપણે કોઈનું કાંઈ બગાડ્યું નથી, અધર્મ આચરતા નથી છતાં પ્રભુ આપણા તરફ કેમ જોતો નથી, હેં ! અધર્મી-પાપીને ત્યાં સુખના ગાડા આવે જયારે આપણે ત્યાં !?મોટાભાગના લોકો પાસેથી આવું સાંભળતા જ હોઈએ છીએ. જો કે રાવણ પાસે સોનાની લંકા હતી છતાં સુખચેનથી રહી ન શકયો જયારે સુદામા પાસે કંઈ જ નહોતું છતાં સુખચેનથી રહેતા હતા.
“જોઈએ છે શું – જેનાથી મારું ભલું થશે ?” પ્રશ્નનો યોગ્ય જવાબ મળે તો પછી અચકાયા વગર આગળ વધવું, વિધાતામાં શ્રધ્ધા રાખવી. શ્રધ્ધા હશે તો આગળ જતાં કોઈ અટકાવી નહીં શકે. એટલા આશાવાદી થવું કે પરિસ્થિતિ સાવ પ્રતિકૂળ હોવા છતાં ઝંખેલી બાબત હવે પ્રગટવાની તૈયારીમાં છે જ તેવું લાગ્યા કરે.
હકારાત્મકતા નકારાત્મકતા પર હાવી થાય જ છે. દુનિયા સુંદર છે અને સૌ સારું થશે એવું આશ્વાસન આપનારા સૌ પ્રેમાળ, શુભચિંતકોનો આભાર !
બીજાના અભિપ્રાય પરથી કોઈ ચોક્કસ વ્યક્તિ વિશે ધારણા ન બાંધવી. કોઈ વ્યક્તિ મારા માટે ખરાબ હોય તો બીજા માટે સારી પણ હોય શકે છે. તાપમાં સૂર્ય બરફને પીગાળે છે તો માટીને કઠણ પણ બનાવે જ છે ને ! ઘણી વાર કાને સાંભળેલું અને આંખે દેખેલું ય સાચું નથી હોતું. આપણે મોટાભાગે આપણા વિચારોને આધારે સામેવાળાનું મૂલ્યાંકન કરી લેતા હોઈએ છીએ. સાચું / ખોટું કેટલું છે એ જાણવાની કે સમજવાની દરકાર કરતાં જ નથી જે ક્યારેક પારાવાર પસ્તાવો આપે છે – તેથી ધારણા બાંધવામાં ઉતાવળા ન થવું. અન્યોનો અભિપ્રાય વખોડી નાંખવાની પણ ઉતાવળ ન જ કરવી જોઈએ. નિષ્પક્ષ વિચારીને નિર્ણય લેવામાં કે ધારણા બાંધવામાં આવે તો ઓછી મુશ્કેલી ઉભી થતી હોય છે.
કોઈ મહાનુભાવે ખૂબ સાચે જ કહ્યુ છે કે : ન લાચાર હોવી જોઈએ, ન શર્મનાક હોવી જોઈએ, જિંદગી તો બસ, ખૂબસુરત અને મજેદાર હોવી જોઈએ.
શક્ય છે, ક્યારેક પડે ધુઆંધાર દુઃખોના ધોધ જાત પર, એને જીલી લે જીગરથી, એવી જોરદાર હોવી જોઈએ. ઈર્ષાની આગમાં, ભલે બળીને રાખ થઈ જાય બળનારા, જ્યારે જુઓ ત્યારે ખિલખિલાટ ને સદાબહાર હોવી જોઈએ. જુવાનીમાં જલસા નહીં કરો તો, બૂઢાપામાં શું ઉકાળશો ? થોડી સનસનાટી સાથે થોડી ચકચાર હોવી જોઈએ. જો બંધિયાર રહેશે તો બદબૂ મારી જશે એક દિવસ, બે કાંઠે વહેતી નદી જેવી, જિંદગી તો નટખટ ને રમતિયાળ હોવી જોઈએ. સૂતા જ રહેવું હોય જો શાંતિથી, તો પહોંચી જાવ સ્મશાનમાં,
અહીંયા તો ધૂમધડાકા સાથે થોડી ધમાકેદાર હોવી જોઈએ. વ્હાલા, મૃત્યુ પછી ભલે કોઈ યાદ કરે કે ન કરે – કોઈ ગમ નથી, યાદ આવે ને ઉંઘ ઉડી જાય, એવી અસરદાર હોવી જોઈએ !
કુદરત બધાને હીરા જ બનાવે છે બસ ઘસાય છે, એ જ ચમકે છે. દરિયાને લાગે છે કે મારી પાસે પાણી અપાર છે પણ એ ક્યાં જાણે છે કે આતો નદી એ આપેલો પ્રેમ ઉધાર છે ! સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણકે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી પહોંચે છે. જે થવાનું હતું એ થઈ ગયું, હવે જે થશે એ સારું થશે બસ આ સમજીને ચાલો જિંદગી જીવવાની તાકાત મળી જશે. વળાંક તો બધાંની જિઁદગીમાં આવે જ છે પણ કોઈ માટે સબક હોય છે તો કોઈ માટે એ સબબ (કારણ) હોય છે.
ધૂંધવાયેલો વરસાદ મલકાઈ ગયો છે,
એની યાદથી સમુદ્ર છલકાઈ ગયો છે;
સાચવ્યા છે મેં ભીના એકબે સ્મરણ –
લાગે છે તેથીજ તરબતર વાતાવરણ !
આ પણ વાંચો:ગુજરાત થયું પાણી પાણી | રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૫૦.૯૨ ટકા પાણી