Gandhinagar News : આજે સ્વર્ણિમ સંકુલ -01 તાપી હોલ, ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં મહાનગર પરિષદ દ્વારા શહેરી બાગ-બગીચા અને પર્યાવરણ સુધારણા અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાજર રહી પોતાના વિસ્તારમાં કરેલી બાગ-બગીચા અને પર્યાવરણ સુધારણાની કામગીરી અંગે મંત્રીને માહિતગાર કર્યા હતાં.
આ બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર વર્ષે મહાનગરપાલિકા – નગરપાલિકા અને વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ તેમજ નાગરિકોમાં પર્યાવરણના જતન માટેના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત અને દેશને ગ્રીન કવર કરવા માટે તમામ નાગરિકોની ભાગીદારી મહત્વની છે. ગુજરાતને ગ્રીન કવર કરવા નાગરિકોની સાથે રાજ્ય સરકાર પણ પ્રો-એક્ટીવ રીતે કાર્ય કરી રહી છે.
વધુમાં મંત્રીએ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે, સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના નેશનલ હાઈવેની બંને બાજુએ સદભાવના એન.જી.ઓ દ્વારા અદભૂત વૃક્ષારોપણનું કામ કરવામાં આવ્યું છે. આ એન.જી.ઓ દ્વારા વૃક્ષોના જતનનો દર 100% છે.
મંત્રીશ્રીએ બેઠકમાં હાજર તમામ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના હોદેદારોને વૃક્ષોનો જતન વધુમાં વધુ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં રાજ્ય સરકાર તમામ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને રેલવે ટ્રેકની આજુ- બાજુ ખાલી જગ્યાઓમાં પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપની મદદથી વૃક્ષરોપણ કરશે તે અંગે પણ માહિતી આપી હતી. આ ઉપરાંત ‘સ્વજન સ્મૃતિ વન’ અને ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાન દ્વારા ગુજરાતના નાગરિકોને વૃક્ષારોપણ માટે વધુને વધુ લોક જાગૃતિ આવે તે દિશામાં કામ કરવા બેઠકમાં ઉપસ્થિત તમામ હોદેદારોને મંત્રીએ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, વડોદરાના મેયર પિંકી સોની, અને ડેપ્યુટી મેયરઓ અને વિવિધ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઓ તેમજ મહાનગર પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા સહિત પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

