ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકની નવી રચાયેલી પ્રધાન પરિષદનો ભાગ બનવાના શપથ લીધાના થોડા કલાકો પછી, 21 પ્રધાનોને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી હતી. પટનાયકે ગૃહ, સામાન્ય વહીવટ, પેન્શન અને જાહેર ફરિયાદ વિભાગનો હવાલો પોતાની પાસે રાખ્યો છે.
નવી રચાયેલી મંત્રી પરિષદમાં 13 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય આઠને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવીન પટનાયકે મુખ્યમંત્રી તરીકેના તેમના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યાના દિવસો બાદ આ પગલું લેવામાં આવ્યું છે. શનિવારે, રાજ્યના તમામ 20 મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું, જેનાથી મંત્રી પરિષદના પુનર્ગઠનનો માર્ગ મોકળો થયો હતો.
રાજીનામું આપતા પહેલા જે મંત્રીઓના પોર્ટફોલિયોને જાળવી રાખવામાં આવ્યા હતા તેમાં જગન્નાથ સરકા, નિરંજન પૂજારી, પ્રફુલ્લ કુમાર મલિક, ટીકે બેહેરા અને અશોક ચંદ્ર પાંડાનો સમાવેશ થાય છે. સારકા કાયદા વિભાગના વધારાના હવાલા સાથે ST-SC વિકાસ અને લઘુમતી અને પછાત વર્ગ કલ્યાણ વિભાગને સંભાળવાનું ચાલુ રાખશે, જ્યારે પૂજારીને નાણાં પ્રધાન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, મલિક સ્ટીલ અને ખાણ અને બાંધકામ વિભાગ, એનકે દાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને પાન્ડા વિજ્ઞાન અને ટેકનોલોજી, જાહેર સાહસો અને સામાજિક સુરક્ષા અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણનો હવાલો ચાલુ રાખશે. જયારે બેહેરા રમતગમતની સાથે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગની જવાબદારી સંભાળશે.
કેબિનેટ મંત્રી આરપી સ્વેન, જેમણે અગાઉ ખાદ્ય પુરવઠા પોર્ટફોલિયો સંભાળ્યો હતો, તેમને કૃષિ અને ખેડૂત સશક્તિકરણ, મત્સ્યોદ્યોગ અને પશુ સંસાધન વિકાસનો હવાલો સોંપવામાં આવ્યો છે. ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન અતનુ એસ નાયકને સહકાર વિભાગની સાથે ખાદ્ય પુરવઠા અને ગ્રાહક કલ્યાણ વિભાગની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે પીકે દેબને ઉદ્યોગો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો અને ઊર્જા પોર્ટફોલિયો આપવામાં આવ્યા છે.
જયારે પ્રમિલા મલિકને મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ, ઉષા દેવીને આવાસ અને શહેરી વિકાસ વિભાગ અને ટુકુની સાહુને જળ સંસાધન, વાણિજ્ય અને પરિવહન વિભાગ આપવામાં આવ્યું છે. બીજુ જનતા દળ (બીજેડી)ના નેતા રોહિત પૂજારી ઉચ્ચ શિક્ષણ વિભાગ સંભાળશે, જ્યારે બસંતી હેમરામને મહિલા અને બાળ વિકાસ અને મિશન શક્તિ વિભાગો ફાળવવામાં આવ્યા છે.
સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓમાં, સમીર રંજન દાસ શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગમાં તેમનું કાર્ય ચાલુ રાખશે. અને અશ્વિની કુમાર પાત્રા પર્યટન, ઉડિયા ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ અને આબકારી વિભાગોના રાજ્ય મંત્રી હશે. બીજેડીના સૂત્રોએ જણાવ્યું કે 2024ની લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાજા અને તુલનાત્મક રીતે યુવા ચહેરાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે.