Gujarat News: આજે ટેક્નોલોજી અને ઈન્ટરનેટનો યુગ છે ત્યારે રાજ્ય સરકારે પણ આ દિશામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રજૂઆતો- સમસ્યાઓનું નિવારણ લાવવાનું સુનિશ્ચિત કર્યું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પેયજળને (Drinking Water) લાગતી સમસ્યાને બનતી ત્વરાએ નિકાલ લાવવા પાણી પુરવઠા વિભાગ (Water Supply) દ્વારા 1916 ટોલ ફ્રી નંબર અને www.watersupply.gujarat.gov.in વેબસાઈટ અમલી બનાવી છે.
રાજ્યમાં વર્ષ 2018થી પાણી પુરવઠા વિભાગ દ્વારા 24 x 7 હેલ્પલાઇન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેન્ટર અને વેબસાઈટ ઉપર અત્યાર સુધી 182464 રજૂઆતો નોંધાઈ છે. જે પૈકી 182331 એટલે કે 99.92 ટકા રજૂઆતોનો સંતોષકારક ઉકેલ- નિકાલ કરીને, ‘જલ હી જીવન હે’ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.
જીવન જીવવા માટે પાણી ખૂબ જ આવશ્યક છે, ત્યારે ટકાઉ વિકાસ માટે પાણીની અગત્યતાને ગુજરાત સરકારે સારી રીતે સમજી, તેને સંલગ્ન અનેકવિધ પગલા- આગવી પહેલ હાથ ધરી છે. જેના પરિણામે રાજ્યના છેવાડાના માનવી સુધી શુદ્ધ પાણી તેમજ પાયાની તમામ સુવિધા પહોચાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં તેમજ જળ સંપત્તિ- પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સબળ નેતૃત્વમાં ગુજરાતે દેશભરમાં ‘સુશાસન’ની એક આગવી ઓળખ ઊભી કરી છે.

રાજ્યની બહેનોને જળ ક્ષેત્રે બહોળો અનુભવ અને જળલક્ષી તમામ માહિતી મળે તેવા ઉમદા આશયથી પાણી સમિતિઓ કાર્યરત છે, જેમાં 50 ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય છે. ઉપરાંત વાસ્મો દ્વારા 70 ટકાથી વધુ મહિલા સભ્યો ધરાવતી દર વર્ષે 150 મહિલા પાણી સમિતિને પ્રતિ સમિતિ રૂ. 50 હજારની પ્રાત્સાહિત રકમ આપવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યભરની 1379 મહિલા સમિતિને અત્યાર સુધીમાં રૂ. 6.18 કરોડની પ્રોત્સાહિત રકમ આપવામાં આવી છે.
સાથે જ, વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા – તાલુકાકક્ષાએ તાલીમ શિબિર, પ્રેરણા પ્રવાસ જેવા વિવિધ કાર્યક્રમો યોજવવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 385 તાલીમ- કાર્યશાળા અને 241 પ્રેરણા પ્રવાસમાં અંદાજે 41 હજારથી વધુ બહેનો સહભાગી થઇને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પોતાનું મહત્તમ યોગદાન આપી રહી છે.
IoT સૉફ્ટવેર દ્વારા પેયજળના પ્રવાહ અને ગુણવત્તા મોનીટરીંગ
પાણી પુરવઠા વિભાગ દ્વારા જીઆઈએસ મેપીંગ થ્રુ મોનીટરીંગ કરવા માટે IoT સોફટવેર વિકસાવવામાં આવ્યું છે, જેના પરિણામે જળ વિતરણ – ગુણવત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. IoT સૉફ્ટવેરના માધ્યમથી પાણીના પ્રવાહનું નિરીક્ષણ – વિતરણ કરતી વખતે ડેટા સંગ્રહ અને વિશ્લેષણના માધ્યમથી જળ સુરક્ષા, ગુણવત્તા અને તેની સ્થિરતાને સુનિશ્ચિત કરે છે.
આ ઉપરાંત, રાજ્યના વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં 2300 જેટલા IoT સૉફ્ટવેર આધારિત ઉપકરણો જેમ કે ફ્લો મીટર વગેરે તેમજ વિશ્લેષકોને સ્થાપિત કરવામાં આવ્યા છે. જે પૈકી 2100 ઉપકરણોમાંથી રિમોટ ડેટા મેળવવામાં આવ્યો છે, જેનાથી રાજ્યના પાણી વિતરણ નેટવર્કને અનુકૂલિત કરવામાં આવે છે.

E.R.P. પોર્ટલ કાર્યરત
રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગના કાર્યો, સંસાધનો, આયોજનનું સર્વગ્રાહી વ્યવસ્થાપન, માનવ સંસાધનો, ફરિયાદ નિવારણ, ફાઈનાન્સ અને સ્ટોર ઈન્વેન્ટરીનું સતત મોનીટરીંગ થાય તે માટે E.R.P. સોફટવેર બનાવવામાં આવ્યું છે. E.R.P. સોફ્ટવેરના માધ્યમથી ડિજિટલ કમ્યુનિકેશન, રેકોર્ડ જાળવણી, વિડીયો કોન્ફરેન્સિંગ તથા એમ્પ્લોયી મેનેજમેન્ટ જેવી તમામ કામગીરી આઈ.ટી. પ્લેટફોર્મ દ્વારા ઝડપી અને કાર્યક્ષમ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો:પેયજળ અને સ્વચ્છતા વિભાગે રાષ્ટ્રીય ડાયરિયા રોકો અભિયાન હાથ ધર્યું
આ પણ વાંચો:કડકડતી ઠંડીમાં લોકો પર પાણી પર ફેંકવામાં આવ્યું, શું કહ્યું ડીઆરએમએ…
આ પણ વાંચો:જેસલમેરનું રણ દુર્લભ પાણીનો બન્યું દરિયો, ખોદકામ દરમિયાન નીકળેલ પાણીમાં સતત વધારો
