Banaskantha News/ એક અનોખો ગુજરાતી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરી પશુપાલકોને આપી રાહત

બનાસકાંઠાના એક ખેડૂત દ્વારા એક અનોખો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. તમે અત્યાર સુધી માત્ર દૂધની ડેરી જોઈ હશે, પરંતુ બનાસકાંઠાના જાગૃત ખેડૂત દ્વારા દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે.

Gujarat Top Stories Others Breaking News

Banaskantha News: બનાસકાંઠાના એક ખેડૂત દ્વારા એક અનોખો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. તમે અત્યાર સુધી માત્ર દૂધની ડેરી જોઈ હશે, પરંતુ બનાસકાંઠાના જાગૃત ખેડૂત દ્વારા દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે. ભાભરના અબળા ગામે ગૌપ્રેમી દેવારામભાઈ પુરોહિત દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે. જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે. સાથે જ માર્કેટમાં ગૌમૂત્ર માંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી વેચે છે. ગૌમૂત્રના ફાયદા અને ગુણને ધ્યાને રાખી બનાસકાંઠાના અબાળા ગામના એક ગૌપ્રેમી દ્વારા ભાભરમાં એક સ્ટાર્ટઅપ કરી વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરી છે. જ્યાં ગૌમૂત્ર ડેરી જેવા નવા પ્રકારના ઉદ્યોગ સાહસથી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા અને ખેડૂતો વધુને વધુ દેશી ગૌવંશ પાળે તે હેતુથી વેસ્ટ ગૌમૂત્રમાંથી બેસ્ટ જૈવિક પ્રવાહી ખાતર તૈયાર કરવામાં આવે છે.

ભાભર તાલુકાના અબાળા ગામના દેવારામભાઈ અંબારામ પુરોહિત તેમની ઉંમર 50 વર્ષ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ગૌસેવા સાથે જોડાયેલા છે. ગૌપ્રેમી દ્વારા ગૌ સેવાના ભાવાર્થે 7 વર્ષથી ગૌમૂત્ર ડેરી ચલાવવામાં આવી રહી છે. જોકે શરૂઆતમાં અઢી લાખના ખર્ચે 50 લિટર ગૌમૂત્ર એકઠું કરવાની શરૂઆત કરી હતી. ત્યારે 1200 લિટર ગૌમૂત્રની પ્રોસેસ થતી હતી, પરંતુ મોંઘવારીમાં ખેડૂતને દેશી ગાય રાખવું ઘણું મુશ્કેલ હતું. જોકે આ વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોને દૂધની સાથે સાથે ગૌમૂત્રની ઉપજ થાય અને ખેડૂત દેશી ગાય રાખે તે હેતુથી ગૌમૂત્રનું રિસર્ચ કરીને 50થી 60 લાખના ખર્ચે વિશ્વનો સૌપ્રથમ ગૌમૂત્ર પ્લાન્ટ તૈયાર કર્યો છે. જેમાં દરરોજનું 1 હજાર લિટર ગૌમૂત્રની પ્રોસેસ કરવામાં આવે છે.

હાલમાં આ ગૌમૂત્ર ડેરીમાં એક દિવસમાં 1 હજાર લિટર ગૌમૂત્ર જમા થઈ રહ્યું છે. સામાન્ય રીતે વેસ્ટ જતું દેશી ગાયનું ગૌમૂત્ર આ ડેરી દ્વારા 5 રૂપિયા લિટરે ખરીદવામાં આવી રહ્યું છે. એક દેશી ગાય રોજનું 15 થી 16 લિટર ગૌમૂત્ર આપે છે. તેને લઈને પશુપાલકો એક ગાયનું રોજનું 75 રૂપિયાનું ગૌમૂત્ર વેચી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, ભાભર તાલુકાના 35 પરિવારો પાસેથી રોજનું 1000 લિટર અને મહિને 20 હજાર લિટર જેટલું એક લાખની કિંમતનું ગૌમૂત્ર આ ડેરી દ્વારા ખરીદવામાં આવી રહ્યું છે.

આ ડેરી દ્વારા આવનાર 6 મહિનામાં 10,000 લીટર ગૌમૂત્ર લઈ શકાય તેવો પણ પ્લાન્ટ નાખવાની તૈયારી કરવામાં આવી છે. ગૌમૂત્ર ડેરીના સંચાલક દેવારામભાઈ પુરોહિતના દીકરા મદનભાઈ પુરોહિતનું કહેવું છે કે, તેમના પિતાજી છેલ્લા ઘણા સમયથી ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા છે. જોકે તેમના પિતા અને બંને ભાઈઓને એવો વિચાર આવ્યો કે, ગૌમૂત્રને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય? જે અંગે રિસર્ચ કર્યા બાદ જાણવા મળ્યું કે, ગૌમૂત્ર માત્ર મૂત્ર જ નહીં, પરંતુ જમીન ઉપરનું સોનું છે. જેને લઈ વિસ્તારમાં ગૌમૂત્રની ડેરી બનાવી હતી. પહેલા જ 50 લીટર ગૌમૂત્ર એકઠું કરીને શરૂઆત કરી હતી. આ આંકડો આજે 1 હજાર લીટર સુધી પહોંચ્યો છે.

તેમણે જણાવ્યું કે, આજે આસપાસના 700 કરતાં વધુ પશુપાલકો તેમની સાથે જોડાયેલા છે. મહત્વની વાત છે કે, તે લોકો ખેડૂતને 40 લીટરનું કેન આપે છે. જેમાં તેમની પીકઅપ વાન દરેક ખેડૂતના ઘરે જઈને ગૌમુત્ર ડેરી સુધી લઈ આવે છે. જેના દરેક ખેડૂતને લીટર દીઠ 5 રૂપિયા ચૂકવવામાં આવે છે.

મદનભાઈ પુરોહિત જણાવ્યુ હતું કે, જિલ્લાના અનેક ખેડૂતો પાસેથી ગૌમૂત્ર ખરીદીને તેમને તેના બદલામાં લાખો રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. આ ગૌમૂત્ર ડેરીમાં લાવવામાં આવેલા ગૌમૂત્રનું ડેરીમાં પ્રોસેસિંગ કરી તેનું અર્ક અને પોટાશ અલગ કરવામાં આવે છે. આ બાદ, તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવવામાં આવી રહી છે. જેમાં ધેનુ ગોલ્ડ, ધન વૃદ્ધિ, ધન ભૂમિ અને ધન રક્ષક બનાવવામાં આવે છે.

આ ડેરીમાં ગૌમૂત્રમાંથી બનાવવામાં આવતી પ્રોડક્ટ્સમાં સૌ પ્રથમવાર ગૌમૂત્રનું કલેક્શન કરવામાં આવે છે. તે બાદ પ્લાન્ટમાં ગૌમૂત્રને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. ગૌમૂત્રને ફિલ્ટરેશનમાં ઉકાળ્યા બાદ શુદ્ધિકરણ કરી તેમાંથી અલગ અલગ ખેતીવાડી માટે પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. આ ઉપરાંત, તેમાંથી બનતા ઘાટાં ગૌમૂત્રમાંથી પાવડર પણ બનાવવામાં આવે છે. જેમાંથી ધેનુ ગોલ્ડ નામની પ્રોડક્ટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત, ધન રક્ષક બનાવવા માટે ગૌમૂત્ર અને લીમડો, ધતુરો, આંકડો, મરચાં, અદરક, હિંગ આવા 10 પ્રકારના વનસ્પતિઓને એકત્રિત કરી અર્ક કાઢવામાં આવે છે.

મહત્વનું છે કે, ગૌમૂત્ર જંતુનાશક અને આયુર્વેદિક દવાઓ વગેરેમાં ઉપયોગી છે. આ ઉપરાંત, રાસાયણિક ખાતરોથી કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવામાં પણ ગૌમૂત્ર ઉત્તમ માનવામાં આવે છે. દરિયાઈ શેવાળ અને ગૌમૂત્ર ઉકાળી બનાવાતું એક મિશ્રણ જમીનને પોચી બનાવવા સક્ષમ છે. એક એકરમાં આવી ફક્ત 5 લિટર દવાનો છંટકાવ કરવાથી ખેતીની બે સિઝનમાં તેનો ફાયદો થઈ શકે છે. આમ, ગૌમૂત્ર ડેરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો ભગીરથ પ્રયાસ કરાઈ રહ્યો છે.

ડેરીમાં ગૌમૂત્રથી બનેલી 5 પ્રોડક્ટ્સ બનાસકાંઠા સહિત પંજાબ, હરિયાણા, કાશ્મીર, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સહિત રાજ્યોમાં પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેમના પાસે 1 કિલોથી લઈ 5 કિલો સુધીનું પેકીંગ ઉપલબ્ધ છે. 100 રૂપિયાથી લઈ 400 રૂપિયા સુધી તેની કિંમત રાખવામાં આવી છે. ગત વર્ષે 70 લાખનું ટન ઓવર કર્યું હતું, જેમાં 15થી 20 લાખનો નફો થયો હોવાનું ડેરી દ્વારા કહેવામાં આવ્યું હતું.

કાંકરેજમા વડા ગામના નરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, તેમની પાસે 30થી વધુ ગાયો છે. આ દેશી ગાયો અગાઉ દૂધના જ પૈસા કમાવી આપતી હતી. જો કે, ધેનુ પ્રસાદ પરિવાર દ્વારા ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવતા હવે ગૌમૂત્રમાંથી પણ આવક મળી રહી છે. ડેરીએ અત્યાર સુધી તેમની પાસેથી 100 લિટર જેટલું ગૌમૂત્ર ખરીદ્યું છે. જેથી તેમને એક દિવસની 500 રૂપિયાની આવક થાય છે. આ આંકડો મહિને 15 હજાર સુધી પહોંચે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં એમ.ટેક. થયેલા યુવાને પશુપાલન ક્ષેત્રે ઝંપલાવ્યું, નવયુવાનો માટે પ્રેરણાદાયક કિસ્સો

આ પણ વાંચો: પશુપાલન અને દૂધ ઉત્પાદન સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારની 16.89 કરોડની સહાય

આ પણ વાંચો: ગળસૂંઢા પશુરોગ સામે રક્ષણ આપતી જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો મુજબ ઉત્પાદન કરાયેલી રસીની પ્રથમ બેચનું પશુપાલન મંત્રીએ કર્યુ લોકાર્પણ