Political/ કોંગ્રેસ માટે કપરા ચઢાણ,મુસ્લિમ પ્રભુત્વવાળી 47 બેઠકો પર આમ આદમી પાર્ટી અને AIMIM મતોનું ધ્રુવીકરણ કરશે

આ વખતે રાજ્યની ચૂંટણી રસપ્રદ બની રહેશે,આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા રાજ્યમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે.આ ઉપરાંત ઓવૈસીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં લગભગ 64 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે

Top Stories Gujarat

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજ્કીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. હવે  રાજ્યની 182 બેઠકો પર જ્ઞાતિ સમીકરણના આધારે મૂલ્યાંકન કરી રહ્યા છે. આ વખતે રાજ્યની ચૂંટણી રસપ્રદ બની રહેશે,આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા રાજ્યમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે.આ ઉપરાંત ઓવૈસીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં લગભગ 64 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. ગુજરાતની ચૂંટણીના સમીકરણો વધુ પેચીદા બને તો નવાઇ પમાડવા જેવું નથી.ગુજરાતની 47 બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમની ટકાવરી 10થી30  છે.કોંગ્રેસની મુસ્લિમ મત બેંકમાં ગાબડું પડવાની પુરી શક્યતા રહેલી છે. મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થવાની પુરી શકયાતા રહેલી છે. અત્યાર સુધી મુસ્લિમ મતો કોંગ્રેસની મત બેંક હતી પરતું આ વખતે AIMIM અને આમ આદમી પાર્ટીમાં મત વહેચવાની પુરી સંભાવના રહેલી છે.

ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તી સૌથી વધુ 43 ટકા જેટલી છે. તેમાં ઠાકોર, કોળી જેવી જ્ઞાતિઓ પ્રભાવશાળી ગણાય છે. બીજા ક્રમે 15 ટકા સાથે આદિવાસી મતદારો છે, પરંતુ દક્ષિણ ગુજરાત, નર્મદા-ભરુચ, ગોધરા અને સાબરકાંઠા વિસ્તાર પૂરતું તેમનું સંખ્યાત્મક પ્રભુત્વ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આદિવાસી સમાજની કોઈ નોંધપાત્ર વસ્તી નથી. ત્રીજા ક્રમે આશરે 13થી 15 ટકા સાથે પાટીદાર મતદારો છે, જે ગુજરાતમાં હંમેશા પ્રભાવશાળી સમુદાય રહ્યો છે કારણ કે આર્થિક, સામાજિક રીતે સંપન્ન હોવા ઉપરાંત રાજકીય દૃષ્ટિએ મહત્વાકાંક્ષી છે. પછીના ક્રમે આશરે 10 ટકા વસ્તી સાથે મુસ્લિમ સમુદાય છે, પરંતુ ભાજપના ઉદય પછી ગુજરાતની રાજનીતિમાંથી મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ ક્રમશઃ ઘટતું રહ્યું છે.

2017ની ચૂંટણીમાં 10થી 30 ટકા કે એથી વધુ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી કુલ 47 બેઠકો પૈકી કોંગ્રેસને 25 બેઠકો મળી હતી, પરંતુ એ પૈકી 12 બેઠકો પર માર્જિન ત્રણ હજાર મતથી પણ ઓછું હતું. આવી દરેક બેઠકો પર AIMIMની હાજરી કોંગ્રેસ માટે ભયજનક બને એ નિશ્ચિત છે. ભરુચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક પર મુસ્લિમોનું પ્રમાણ 30 ટકાથી પણ વધુ છે, પરંતુ આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી. અહીં રસપ્રદ સ્થિતિ એ હતી કે ભાજપના ઉમેદવાર અરુણસિંહ જાડેજા 2628 મતોથી જીત્યા હતા અને 2807 મતો નોટાના ખાતે પડ્યા હતા. આવી બેઠકો પર મુસ્લિમ મતદારો જો કોંગ્રેસ અને AIMIM વચ્ચે વહેંચાઈ જાય તો ભાજપની જીત આસાન બની જવાની છે. એ જોતાં ગુજરાતમાં ઓવૈસી ફેક્ટર કોંગ્રેસને જ નડવાનું છે.આ સાથે આમ આદમી પાર્ટી જે મત લઇ જાશે તો વધારે ફટકો કોંગ્રેસને જ થવાનો છે.

નોંધનીય છે કે 2017 સુધી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બે રાજ્કીય પાર્ટીઓ વચ્ચે જ રસાકસીની જંગ થતી હતી પરતું હવે 2022માં રાજકીય પરિસ્થિતિ ગુજરાતની બદલાઇ ગઇ છે.હવે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIM પણ ચૂંટણી લડવાની છે જેના લીધે કોંગ્રેસની  મત બેંકમા મસમોટું ગાબડું  પાડશે.