તાજેતરમાં જ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા હરભજન સિંહે શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ રાજ્યસભાનો તેમનો પગાર ખેડૂતોની દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે ખર્ચ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યસભાના સભ્ય તરીકે તેઓ “દેશના ભલા” માટે શક્ય તેટલું બધું કરશે. હરભજન સિંહ થોડા સમય પહેલા પંજાબમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, ત્યારબાદ પાર્ટીએ તેમને રાજ્યસભા સીટ માટે નોમિનેટ કર્યા હતા.
હાલમાં જ હરભજન સિંહ આમ આદમી પાર્ટીમાંથી પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણીમાં હરભજન સિંહ, પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક અશોક મિત્તલ, આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર સંદીપ પાઠક અને ઉદ્યોગપતિ સંજીવ અરોરાને નામાંકિત કર્યા હતા. તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. નોંધપાત્ર રીતે, પાર્ટીએ પંજાબમાં 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું હતું.
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ હરભજન સિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા હતી. તેઓ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને પણ મળ્યા હતા પરંતુ બાદમાં હરભજન સિંહ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ પણ વાંચો:સાંતલપુરમાં પાણી માટે રઝળપાટ, લોકો કેનાલનું દૂષિત પાણી પીવા બન્યા મજબૂર