Gandhinagar News: એન્ટિ કરપ્શન બ્યૂરો( ACB)એ ભ્રષ્ટાચાર સામેની તેની કાર્યવાહીને વધારે તીવ્ર બનાવી છે. તે ફક્ત નાના માછલા પકડતી નથી, મોટા મગરમચ્છ પણ પકડી શકે છે તે પુરવાર કરતાં તેણે ગુજસેલ (ગુજરાત સ્ટેટ એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ)ના ચેરમેન અજય ચૌહાણ સામે ગુનો નોંધાવ્યો છે. તેમના પર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ છે. અજય ચૌહાણના ભ્રષ્ટાચારની તપાસ એસીબીને સોંપવામાં આવી છે.
એસીબીના જણાવ્યા મુજબ કેપ્ટન અજય ચૌહાણે ફરજ દરમિયાન સત્તાનો દૂરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાથી ગુજસેલના સીનિયર ચીફ સિક્યોરિટી ઓફિસર અને જનરલ મેનેજરે એસીબીમાં ફરિયાદ આપી હતી. અજય ચૌહાણને હાલમાં ફરજ મોકૂફી પર ઉતારી દેવામાં આવેલા છે. કેશમેક એવિયેશન પ્રાઇવેટ લિ.ના ડિરેક્ટર અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી, એકાઉન્ટ વિભાગમાં અલ્પેશકુમાર નટવરભાઈ પ્રજાપતિની સામે ગુનો નોંધ્યો છે.
આરોપી કેપ્ટન અજય ચૌહાણે પોતાની ફરજ દરમિયાન તથા મહાનુભાવોના ઉડ્ડયન માટે રાખવામાં આવેલા તેઓના નિયંત્રણમાં રહેલા સરકારી વિમાનોમાં કોઈપણ જાતની મંજૂરી લીધા વગર પોતાને સોંપવામાં આવેલી સત્તાનો દૂરુપયોગ કરી પોતાના કુટુંબીજનોને અંગત હવાઈ મુસાફરી કરાવી સરકારની તિજોરીને આર્થિક ફટકો માર્યો છે. આ ઉપરાંત કેપ્ટન અજય ચૌહાણ પોતે ગુજસેલ સિવાય અન્ય કોઈ કંપનીને ફ્લાઇંગ ડ્યુટીની સેવા આપી શકતા નથી તે બાબતથી પોતે જ્ઞાત હોવા છતાં આર્યન એવિયેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આ અંગેની સેવાઓ પૂરી પાડી હતી.
ફક્ત એટલું જ નહીં ગુજસેલમાં મેનપાવર પૂરો પાડવા અંગે કેપ્ટન અજય ચૌહાણે કેશમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડ સાથે ગેરકાયદેસર રીતે કરાર કરી કંપની તરફથી આરોપી સાથે સાંઠગાંઠ કરી દસ લાખ રૂપિયાનો અયોગ્ય આર્થિક લાભ મેળવ્યો હતો. આ ત્રણેય આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરી 72 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે. એસીબીએ હવે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગોધરા ખાતે જિલ્લાના 102 ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ
આ પણ વાંચો: આવતીકાલથી શાળાઓનો પ્રારંભ, રાજ્યભરમાં RTO વિભાગની ડ્રાઇવ
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી ફિલિપાઇન્સની મહિલા પાસેથી 14 કરોડનું હેરોઇન પકડાયું
આ પણ વાંચો: પોલીસની આંતરજિલ્લા બદલીની બધી સત્તા રાજ્યના પોલીસ વડા પાસે