ચૂંટણીપંચે શરૂ કરેલી મતદાર યાદી સુધારણા ની કવાયતને લઈને વિપક્ષના તો ભવા વંકાયા જ છે, પરંતુ ગુજરાતમાં તો શાસક પક્ષના ભવા પણ વંકાયા છે. મતદારોની નિરસતા અ ચૂટણીપંચ દ્વારા મતદાર યાદી પર કાતર નહીં બુલડોઝર જ ફરી વળશે તેવા ડરના કારણે ભાજપના ધારાસભ્યો જ નહીં મંત્રીઓ સુદ્ધા પણ હાલમાં પક્ષની ચાલતી યુનિટી માર્ચને પડતી મૂકીને તેમના મતવિસ્તારમાં દોડ્યા છે. ચૂંટણીપંચ અત્યાર સુધીમાં છ લાખ નામ રદ કરી ચૂક્યું છે તેવા અહેવાલ સામે આવવાના પગલે જ ભાજપના મંત્રીઓમાં દોડધામ મચી ગઈ છે. બધાને તેમના મતદારો ગુમાવવાનો ડર લાગ્યો છે.
આ અગાઉ મતદાર યાદી સુધારણા માટે ચૂંટણીપંચનું સ્ટીમ રોલર બિહારમાં ફરી વળ્યું હતું અને કુલ 69 લાખ નામ કમી કરી નાખ્યા હતા અને બંગાળમાં તે 34 લાખ નામ કમી કરી ચૂક્યું છે. હવે ગુજરાતમાં ચૂંટણીપંચનું રોલર ફરી વળે તેવો ડર શાસક પક્ષની સાથે-સાથે વિપક્ષને પણ લાગ્યો છે. શાસક પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓએ આના કારણે યુનિટી માર્ચ તો કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની જનાક્રોશ યાત્રાને ત્યજવી પડી છે. બંને જણા પોતપોતાના મતવિસ્તારોની કિલ્લેબંધી કરવામાં લાગી ગયા છે, જેથી ચૂંટણીપંચ તેમના ગઢના કાંગરા જ નહી, આખો ગઢ જ ક્યાંક ખેરવી ન જાય.
મતદાર યાદી સુધારણા ને લઈને શાસક પક્ષ હોય કે વિપક્ષ બંનેના સાંસદો અને ધારાસભ્યોને જાણે ચૂંટણીપંચની કાર્યવાહીમાં પોતાની હાર દેખાવવા લાગી છે. બંનેમાંથી કેટલાય ધારાસભ્યો એવા છે જે ઘણી નજીવી સરસાઇથી ચૂંટાયેલા છે. તેઓને તો જાણે આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાણે માથા પર લટકતી તલવાર જેવો લાગી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ મતદારોની નીરસતાથી પણ તેઓ ચોંકી ગયા છે. મતદારોનો અભિગમ તો જાણે એવો છે કે મતદાર યાદી માંથી નામ ઉડી ગયું તો શું થયું, આપણે ક્યાં વોટ આપવા જવું છે. તેમા પણ ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને તો તેમના નામ મતદાર યાદીમાંથી ઉડી જાય તેની ચિંતા નથી. જ્યારે બીજી બાજુ ચૂંટણીપંચ તેનું સ્ટીમ રોલર ધડાધડ ફેરવી રહ્યું છે.
મતદાર યાદી સુધારણા ના આ સંજોગોમાં પોતાના મતદારોને જાળવવાની અને તેમને નવું ચૂંટણી કાર્ડ મળે તે નક્કી કરવાની જવાબદારી જાણે ધારાસભ્યો પોતાના શિરે હોય તે રીતે ફરવા લાગ્યા છે. સાંસદો, ધારાસભ્યો અને પક્ષના કોર્પોરેટરોની સ્થિતિ જાણે અઘોષિત BLO જેવી થઈ ગઈ છે. તેઓએ જાણે ચૂંટણી હોય તેમ મતદાન મથક દીઠ અને બૂથ દીઠ ફરી પાછા ટેબલો બિછાવવા માંડયા છે, મતદાર યાદી સુધારણા મા પહેલા વોટિંગ માટે ઘેર-ઘેર જઈને વોટર સ્લિપ આપતા હતા તેમ-તેમ ઘેર જઈને તે ચકાસણી કરી રહ્યા છે કે ફોર્મ ભરાઈ ગયું ને, નથી ભરાયું તો શું કારણ છે. કોઈ તકલીફ હોય તો અમે મદદ કરીશું. આમ શાસક પક્ષ અને વિપક્ષ હવે ઘેર-ઘેર જઈને પૂછવા માંડ્યા છે કે મતદારયાદી સુધારણાનું ફોર્મ ભરો, નહીં તો તમારું નામ મતદારયાદીમાંથી કમી થઈ જશે. તેના કારણે ભવિષ્યમાં બીજા અનેક પ્રશ્નો સર્જાઈ શકે છે.
મતદાર યાદી સુધારણા ના કારણે શાસક-વિપક્ષના જે કાર્યકરોના નામ પણ ધારાસભ્યો અને સાંસદો જાણતા હતા તેના ભાવ પૂછાતા થઈ ગયા છે. તેઓ પણ જાણે મોટો નેતા તેમને ઓળખવા માંડતા થોડો કોલર અદ્ધર રાખીને ફરવા લાગ્યા છે. તેમને જાણે તેમના કામકાજને ઓળખ મળી હોય તેમ લાગી રહ્યુ છે. પક્ષને પણ તેમની જરૂર ચૂંટણી સિવાય પણ પડી શકે છે તેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજકીય પક્ષના કાર્યકરને એવું જ હોય કે પક્ષને જરૂર ફક્ત ચૂંટણી વખતે અને વિરોધ પ્રદર્શન વખતે જ પડે છે. બાકીના સમય તો તેમણે કશું કરવાનું હોતું નથી. નેતાઓ જ ફરકતા નથી તો પછી કાર્યકરો ક્યાંથી ફરકે.
આના કારણે લોકોને પણ ચૂંટણી વગર રાજકીય પક્ષોના કાર્યકરોના અને નેતાઓના દર્શન થવા લાગ્યા છે. આ ઘટનાથી લોકો પણ આશ્ચર્ય પામ્યા છે અને ચૂંટણીપંચનો આભાર માની રહ્યા છે કે તેમના એક જ પગલાંના કારણે નેતાઓ પોતાના મતવિસ્તારમાં પગ મૂકતા તો થઈ ગયા છે. અને મતદાર યાદી સુધારણા બાદ મતદારયાદીમાં નામ જાળવવા મતદાર કરતાં વધારે નેતાઓ અને કાર્યકરોની આતુરતાએ મતદારોમાં પણ ઉત્સુકતા જગાવી છે. તેમને થઈ રહ્યુ છે કે અમારા નામના ઉમેરા કે બાદબાકીને લઈને આમને કેટલી ચિંતા છે.
ધારાસભ્યો અને સાંસદોએ પંચના આ પગલાંના લીધે ભરશિયાળે પરસેવો પાડવાનો સમય આવ્યો છે. તેઓ મનમાં કહેતા હશે કે વગર ખેતરે ખેતી કરવી તે કદાચ આને કહેવાય. આના કારણે પક્ષના પેજ પ્રમુખોથી લઈને બૂથ પ્રમુખો બધા સાબદા થઈ ગયા છે. આ ધારાસભ્યો અને સાંસદોને જાણે એક-એક બૂથ તેમના અસ્તિત્વ માટે મહત્વનું લાગુ રહ્યુ છે, તેમને લાગી રહ્યુ છે કે જાણે તેમનું અસ્તિત્વ દાવ પર લાગી ગયું છે. તેઓ ચોક્કસપણે ચૂંટણીપંચને બરોબરનું કોસતા હશે, પરંતુ તેમા હવે શાસક પક્ષ અને વિપક્ષ બંનેમાંથી કોઈની કારી ફાવે તેમ નથી.
મતદારોને ‘એક સમયે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હૈ’ કહેનારા આ જ ધારાસભ્યો અને સાંસદો ‘મેરે દિલ મેં બસ તુહી તું, મેરી હર ધડકન મેં બસ તુહી તુ ‘ એમ કહી રહ્યા છે. હવે અહેસાસ થઈ રહ્યો છે કે ભાઈ મતદાર છીએ તો અમે છીએ, હવે જો તે જ નહીં હોય તો પછી અમારું પણ અસ્તિત્વ નહી હોય. આમ ચૂંટણીપંચની મતદાર યાદી સુધારણા નો પંચ ફક્ત વિપક્ષને જ નહીં શાસક પક્ષને પણ લાગ્યો છે.
આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !
આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા
આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો

