કાલપુર રેલવે સ્ટેશન ઉપર મુસાફરોની સાથે છેતરપિંડીના કિસ્સા ખુબજ વધતા જઈ રહ્યા છે. પોતાના મુકામે ઝડપથી પહોંચવાની ઉતાવળ ઘણી વાર મુસાફરોને ભારે પડી જતી હોય છે. ગંતવ્ય સ્થાને પહોંચવાની ઉતાવળમાં બ્લેકમાં ટિકિટ રિઝર્વેશન કરાવતા હોય છે. જેમાં ઘણી વખત મુસાફરોએ છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે અને પોતાના પૈસા ગુમાવાનો વારો પણ આવે છે.
તાજેતરની જો વાત કરીએ તો છત્તીસગઢમાં રહેતા અને છેલ્લા ચાર મહિનાથી બહુચરાજીમાં ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા રામલુરામ મોરિયાને પોતાના વતનએ પરત જવાનું હોવાથી તેમણે રેલવે સ્ટેશન ઉપર સૌ પ્રથમ રેલવે કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો. યુવકે કાયદેસર રીતે ટિકિટ રિઝર્વેશન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, રિઝર્વેશન ડેટામાં જગ્યા ન હોવાથી રેલવે કર્મચારીઓએ યુવકને ટિકિટ કન્ફ્રર્મ બાબતે ના પાડી દીધી હતી. જેથી નિરાશ થઇ ગયેલો યુવક મોઢું લટકાવીને રેલવે સ્ટેશન ઉપર બેઠો હતો. ત્યારે જ ચાર ઈસમો તેની સામે આવ્યા હતા. અને યુવકનું નિરાશ થયેલું મોઢું જોઈને આ ચારેય ઈસમોએ સમગ્ર મામલા વિશેની હકિકતા જાણવાની કોશિશ કરી હતી. યુવકની આપવીતી જાણીને ચારેય ઈસમોએ તેનો ગેરલાભ ઉઠાવીને બ્લેકમાં ટિકિટ કન્ફ્રર્મ કરાવી આપવાની બાહેંધરી આપી હતી. યુવક પાસેથી 1500 રૂપિયા રોકડા લઈને ચારેય ઈસમો ત્યાંથી પલાયન થઇ ગયા હતા.
યુવકને ન તો પોતાના ઘરે જવાની ટિકિટ મળી હતી ન તો તે ચારેય ઇસમોનો કોઈ અતોપતો મળ્યો હતો. જેથી પરેશાન થઇ ગયેલા યુવકે રેલવે પોલીસનો સંપર્ક સાંધીને સમગ્ર મામલાથી પોલીસને વાકેફ કર્યો હતો. રેલવે પોલીસે યુવકની વિગતો સાંભળીને રેલવે સ્ટેશનમાં ચેકીંગ વધારી દઈને ગણતરીની જ મિનિટોમાં ચારેય ઈસમોને દબોચી લીધા હતા.
પકડાયેલા ઈસમો ચંદનકુમાર પશવાન, રોશન મહેતા, અરવિંદ મહેતા, અને બબલુ દાસ સામે રેલવે પોલીસે 1500 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…