જમ્મુ-કાશ્મીરમાં દિવસે દિવસે આતંકવાદીઓની ગતિઓ વધુ તેજ થઇ ગઇ છે.તેઓ ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે જેના જવાબમાં સેનાએ પણ આંતકવાદીઓનાે ખાત્મો બોલાવવામાં કોઇ કસર છોડી નથી,એક એહેવાલ મુજબ અત્યાર સુધીમાં 100થી વધુ આંતકવાદીને ઠાર કરાયા છે. થોડા દિવસ પહેલા બેંક મેનેજરની હત્યા કરનાર આંતકવાદીને સેનાએ એન્કાઉન્ટરમાં ઢાળી દીધો છે. આ ઓપરેશનમાં બે આંતકવાદી માર્યા ગયા છે,માર્યા ગયેલા બંને આંતકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકનું નામ જાન મોહમ્મદ લોન છે.
ઉલ્લેખનીય છે કે વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી હતા, તેઓ કુલગામના મોહનપુરામાં બેંક મેનેજરના પદ પર હતા, આતંકવાદીઓએ તેમને બેંકની અંદર ગોળી મારી દીધી હતી. કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના વધતા જતા મામલાઓને જોતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં CJI NV રમન્નાને કાશ્મીરમાં હિંદુઓના મોત અંગે સંજ્ઞાન લેવાનું કહેવામાં આવ્યું છે.
12 મેના રોજ જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ રેવન્યુ ડિપાર્ટમેન્ટના એક ઓફિસરને ગોળી મારી હતી.ઓફિસમાં ઘૂસીને આતંકીઓએ રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું હતું. કાશ્મીરી પંડિત રાહુલ લાંબા સમયથી રેવન્યુ વિભાગમાં કામ કરતા હતા.