નવી દિલ્હી,
નાણાં મંત્રી અરુણ જેટલીએ દેશના નોકરીયાત વર્ગને મોટો ઝટકો આપતા ઈન્કમટેક્સમાં કોઈપણ રાહત આપવાની જાહેરાત કરી નથી. ઈન્કમટેક્સના સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે. જે મુજબ પહેલા અઢી લાખ સુધીની આવક ટેક્સમુક્ત રહેશે. અઢીથી ૫ લાખ સુધીની આવક પર ૫ ટકા ટેક્સ લાગશે. જ્યારે ૫ લાખથી ૧૦ લાખ સુધીની આવક પર ૨૦ ટકાનો ટેક્સ લાગશે. તેમજ ૧૦ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગશે. જાકે, વરીષ્ઠ નાગરીકોને મોટી રાહત અપાઈ છે, જેમાં તેમની બચત પર હવે ટીડીએસ નહીં કપાય. બેન્ક અને પોસ્ટઓફિસના ખાતામાં બચત મર્યાદા વધારીને ૪૦ હજાર કરાઈ છે.
તેમજ ડીપોઝિટ પર મળનાર છૂટ ૧૦ હજારથી વધારીને ૫૦ હજાર કરી દેવાઈ છે. તેમજ વરિષ્ઠ નાગરીકોને મળતા વ્યાજ પર કોઈ ટેક્સ લાગશે નહીં. ટ્રસ્ટની ૩૦ ટકા સુધીની આવક પર ટેક્સ નહીં લાગે. સ્ટાન્ડર્ડ ડિટેક્શન સિસ્ટમ ફરી લાગુ થશે.૪૦ હજાર સુધીનુ મેડિકલ બિલ ટેક્સ ફ્રી રહેશે. મેડિકલ ખર્ચમાં નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સરકારને ૩.૩ ટકા રાજકીય ખાદ્યનો સામનો કરવો પડે તેવી શક્યતા નાણાં મંત્રી અરુણ જેટલીએ રજુ કરી છે.
નાણાં મંત્રી જેટલીએ પોતાના બજેટના ભાષણ દરમિયાન જણાવ્યુ હતું કે દેશમાં ટેક્સ ચુકવનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષે ઈન્કમટેક્સ થકી ૯૦ હજાર કરોડ રૂપિયાની આવક થઈ છે, તેમજ નોટબંધીથી ૧ હજાર કરોડ રૂપિયાનો ટેક્સ આવ્યો છે. દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ૧૨.૬ ટકાનો વધારો થયો છે. તેમજ દેશમાં ટેક્સ ચુકવતા લોકોની સંખ્યામાં ૧૯.૭૫ લાખનો વધારો થયો છે. જેટલીએ જણાવ્યુ હતું કે કાળા નાણાં સામેનુ અભિયાન સફળ રહ્યુ છે. ઉદ્યોગજગતને મોટી રાહત આપતા જેટલીએ જણાવ્યુ હતું કે ૨૫૦ કરોડનુ ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ પર ૨૫ ટકા જ કોર્પોરેટ ટેક્સ લાગશે.જેથી મોટાભાગના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ૨૫ ટકા જ ટેક્સ આપવો પડશે.