બાંગ્લાદેશનાં ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને ફેસબુક લાઇવ પર મોહસીન તાલુકદાર નામનાં કટ્ટરપંથી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રવિવાર 15 નવેમ્બરનાં રોજ બપોરે 12:06 વાગ્યે, સિલહટનાં શાહપુર પારામાં રહેતા મોહસીન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ થયો અને કહ્યું કે, શાકિબે મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને એટલુ જ નહી તેને ટુકડાઓમાં કાપવાની ધમકી આપી છે.
તેણે એમ પણ કહ્યું હતું કે, તે 33 વર્ષનાં શાકિબને મારવા માટે સિલહટથી ઢાકા જશે. અગાઉ, અહેવાલોનાં આધારે, શાકિબે કોલકાતામાં કાલી પૂજાનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, વીડિયો અંગે તપાસ ચાલી રહી છે અને વહેલી તકે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બી.એમ. સિલહટ મેટ્રોપોલિટન પોલીસનાં ડેપ્યુટી કમિશનર અશરફ ઉલ્લાહ તાહરે કહ્યુ કે, “અમે આ કેસ અંગે વાકેફ થયા છીએ. વીડિયો લિંક સાયબર ફોરેન્સિક્સ ટીમને સોંપવામાં આવી છે. ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
ઢાકા મેટ્રોપોલિટન પોલીસનાં અધિકારી અશરફ અલ્લાહ તાહેરે કહ્યું કે, તે એક માનહાની અને સાંપ્રદાયિક સુમેળને નાશ કરવાનો પ્રયાસ છે. જો કે બાદમાં, તાલુકાદારે ફરીથી ફેસબુક પર લાઇવ થઇ ગયા અને પોતાના વર્તન માટે માફી માંગી હતી અને શાકિબ તેમજ અન્ય હસ્તીઓને ‘સાચા માર્ગ પર ચાલવાની’ સલાહ આપી હતી. આપને જણાવી દઈએ કે, શાકિબે તાજેતરમાં એક વર્ષનાં પ્રતિબંધનો સામનો કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. શાકિબે બાંગ્લાદેશ તરફથી 206 વનડે, 56 ટેસ્ટ અને 76 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.