Sports News : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે, જેમાં ભારત 2-1થી આગળ છે. શ્રેણીની ચોથી મેચ બુધવારે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
ભારતીય ટીમના સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ બીમારીના કારણે દક્ષિણ આફ્રિકા સામેની બાકીની બે T20 મેચમાંથી બહાર થઈ ગયા છે. અક્ષર રવિવારે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20 મેચમાં પણ ખરાબ તબિયતને કારણે રમ્યા નહોતા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવારે નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે, “અક્ષર પટેલ હાલમાં લખનૌમાં ટીમ સાથે છે, જ્યાં તેનું વધુ તબીબી મૂલ્યાંકન કરવામાં આવશે. પુરુષોની પસંદગી સમિતિએ લખનૌ અને અમદાવાદમાં યોજાનારી બાકીની બે T20 મેચ માટે અક્ષરના સ્થાને શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કર્યો છે.”
શાહબાઝ અહેમદને બે વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી
31 વર્ષીય શાહબાઝ અહેમદને લગભગ બે વર્ષ બાદ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. શાહબાઝે છેલ્લે ઓક્ટોબર 2023માં ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. અત્યાર સુધીમાં તેણે ભારત માટે 3 ODI અને 2 T20I મેચ રમી છે. તેણે 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
આ સીઝનમાં રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાહબાઝના પ્રભાવશાળી પ્રદર્શન બાદ તેને ફરી તક આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે અત્યાર સુધી કુલ 5 વિકેટ લઈ ચૂક્યો છે.
શ્રેણીમાં અક્ષરનું પ્રદર્શન
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ બે T20 મેચમાં અક્ષર પટેલે 44 રન બનાવ્યા અને 4 વિકેટ ઝડપી હતી. ત્રીજી મેચમાં તેના સ્થાને સ્પિનર કુલદીપ યાદવે સ્થાન લીધું હતું. આ મેચમાં ભારતે ઓછા સ્કોરવાળી ટક્કરમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવીને શ્રેણીમાં લીડ મેળવી હતી.
દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી બે T20I માટે ભારતની અપડેટેડ ટીમ
સૂર્યકુમાર યાદવ (કપ્તાન)
શુભમન ગિલ (ઉપ-કપ્તાન)
અભિષેક શર્મા
તિલક વર્મા
હાર્દિક પંડ્યા
શિવમ દુબે
જિતેશ શર્મા (વિકેટકીપર)
સંજુ સેમસન (વિકેટકીપર)
વોશિંગ્ટન સુંદર
કુલદીપ યાદવ
વરુણ ચક્રવર્તી
જસપ્રિત બુમરાહ
અર્શદીપ સિંહ
શાહબાઝ અહેમદ
આ પણ વાંચો:યશસ્વી જયસ્વાલે 7મી ટેસ્ટ સદી ફટકારી, વેસ્ટ ઈન્ડિઝ સામે મોટો રેકોર્ડ બનાવ્યો
આ પણ વાંચો:વેસ્ટ ઈન્ડિઝમાં ઈરફાન પઠાણનાં મેકઅપ આર્ટિસ્ટનું પાણીમાં ડૂબવાથી થયું મોત
