બિહારની ચૂંટણી માટે ગુરુવારે જાહેર થયેલા ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કોરોનાની નિશુલ્ક રસીના વચન પર બિહાર ચૂંટણીમાં ઘમાસાણ મચ્યું છે. જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ મૃત્યુનો ડર બતાવવાનો આરોપ લગાવીને તેની ટીકા કરી રહી છે, ત્યારે આ મામલો હવે ચૂંટણી પંચ પોસે પહોચ્યો છે. સામાજિક કાર્યકર્તા સાકેત ગોખલેએ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારામને પટનામાં ભાજપનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તેમાં સામેલ 11 ઠરાવોમાંથી પ્રથમ નિ: શુલ્ક કોરોના રસીની રજૂઆત છે. ભારતમાં આઇસીએમઆર દ્વારા રસીને મંજુરી મળતા જ બિહારના તમામ લોકોને મફતમાં રસી આપવામાં આવશે.
કાર્યકર્તા સાકેત ગોખલેએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે, મફત રસી અપાવવાનો ભાજપનો દાવો ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારની સત્તાઓનો દુરુપયોગ છે. ગોખલેએ ફરિયાદમાં કહ્યું હતું કે આ કોઈ પક્ષના નેતા નથી પરંતુ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલ ઘોષણા છે.
હજી સુધી, કેન્દ્ર સરકારે કોરોના રસીના વિતરણ અંગે કોઈ કાયદેસરની જાહેરાત કરી નથી. કોરોનાને કારણે દેશના દરેક રાજ્યોએ મુશ્કેલી વેઠવી પડી છે અને બિહારની જેમ તમામ રાજ્યોના લોકો પણ તેનાથી પ્રભાવિત છે. ચૂંટણી પંચને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.