Vadodara News : વડોદરામાં રહેતા બિઝનેસમેનની ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષની પુત્રીએ આપઘાત (Suicide)કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, 19 સપ્ટેમ્બરે સવારે સ્કૂલેથી ઘરે પરત આવ્યા બાદ વિદ્યાર્થિની પાંચમા માળના ટેરેસ પરથી નીચે પડી હતી. ઘટનામાં તેને ગંભીર ઈજાઓ પહોંચતાં સ્થળ પર જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.
સ્કૂલેથી ઘરે આવ્યા બાદ બની ઘટના
વિદ્યાર્થિની વડોદરાના વડસર બ્રિજ નજીક આવેલી જય અંબે સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ (Class 10 Student)કરતી હતી. પરિવાર રાધે રેસિડેન્સીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે આશરે 6:10 વાગ્યે તે સ્કૂલ બસ મારફતે શાળાએ ગઈ હતી. ત્યારબાદ લગભગ 11 વાગ્યાની આસપાસ તે ઘરે પરત ફરી હતી.
પાંચમા માળના ટેરેસ પરથી પડી
ઘરે પરત આવ્યા બાદ વિદ્યાર્થિની પાંચમા માળના ટેરેસ પર પહોંચી હતી. ત્યારબાદ તેણે ટેરેસ પરથી છલાંગ લગાવી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નીચે પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા. ઘટનાસ્થળે જ તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાનો અવાજ સંભળાતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં પરિવારજનોને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. બનાવની માહિતી મળતાં મકરપુરા પોલીસ (Makarpura Police)ની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મોતનું કારણ જાણવા પોલીસ તપાસ
વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ (SSG Hospital) ખાતે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, સમગ્ર મામલે પોલીસે પરિવારજનો અને સંબંધિત લોકોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં વિદ્યાર્થિનીએ શા માટે આપઘાત (Suicide) પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. સમગ્ર ઘટનાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
