સ્વાયત સંસ્થાઓના સ્વાયત્તતાના નામે વિરોધીઓ સામે ઉપયોગ ઉપયોગ ભૂતકાળમાં પણ થતો અને આજે પણ થાય છે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
પશ્ચિમ બંગાળમાં પહેલા કોંગ્રેસ, ત્યારબાદ સામ્યવાદીઓ અને હવે હેટ્રીક કરનાર મમતા બેનરજીની સરકાર સત્તા પર છે. હવે આ વખતે એટલે કે ૨૦૨૧ની ચૂંટણીમાં મમતા બેનરજી સત્તા પર ન આવે તે માટે કોંગ્રેસે તો ડાબેરીઓ સાથે ગઠબંધન કરી મોટો પડકાર ઉભો કર્યો હતો. પરંતુ તેમાં ફાવટ મળી નથી. ઉલટાનો બન્ને પક્ષનો લગભગ સફાયો થઈ ગયો છે. ભાજપે કરોડો રૂપિયા અને પ્રધાનોની ફોજ ઉતાર્યા પછી તેનું કશું પરિણામ આવ્યું નથી. ભાજપના ટોચના નેતાઓના પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો અંગે પ્રતિભાવો આપવાથી પણ દૂર રહ્યા છે અથવા તો મૌન સેવ્યું છે. જાે કે ૨૦૧૬ની ચૂંટણીમાં જે ખૂબ ગાજ્યો હતો અને ૨૦૧૭માં જેની એફ.આઈ.આર. નોંધાઈ હતી તે નારદા કૌભાંડ કે નારદા ન્યૂઝ પોર્ટલ દ્વારા ૨૦૧૪માં સ્ટીંગ ઓપરેશન કર્યું હતું અને આ ટેવના હવાલે તૃણમુલના મંત્રી સાંસદ અને ધારાસભ્યો પર ડમી કંપનીઓ પાસેથી લાંચની રકમ લેવાનો આરોપ છે. આ અંગે એફ.આઈ.આર. પણ થઈ હતી અને ૨૦૧૭માં કોલકતા હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.
હવે પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ CBI આ પ્રકરણમાં ફરી જાગી છે. સીબીઆઈ સોમવારે ઘણા સ્થળે દરોડા પાડ્યા હતા અને પછી પશ્ચિમ બંગાળના મંત્રી ફીરહાદ હાકીમ, સુબ્રત મુખરજી અને ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર શીવમ ચેટરજીની પહેલા પૂછપરછ કરી હતી અને ત્યારબાદ ધરપકડ પણ કરી છે. હવે આ નેતાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ટીએમસીના આ આગેવાનોની પુછપરછ ચાલું હતી, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે CBI ઓફિસે પહોંચ્યા હતા અને જે અહેવાલો મળે છે તે પ્રમાણે તેમણે CBIના અધિકારીઓને એવું કહ્યું હતું કે તમે મારી પણ ધરપકડ કરો. ટીએમસીના વકીલે પણ CBI ના અધિકારીઓ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે કોઈ પણ જાતની નોટીસ આપ્યા વગર મંત્રીઓ અને ધારાસભ્ય ની ધરપકડ કરી શકાય નહિ.
આ તબક્કે ટીએમસીના કાર્યકરોના ટોળા પણ CBI ઓફિસ પાસે એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ટીએમસીના ટોચના મોવડીઓએ સ્પષ્ટપણે જાહેર કર્યુ છે કે કેન્દ્ર સરકાર મમતા બેનરજીની સરકારની કોરોના સહિતના પ્રશ્નો અંગેની કામગીરીમાં અવરોધ ઉભો કરવા માટે પોતાની આ ખૂબ જ વગોવાયેલી તપાસ સંસ્થાનો ઉપયોગ કર્યો છે. આ પ્રશ્ને કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર આમને-સામને આવી ગયા છે. જાે કે આ વાત નવી નથી આગળથી આવું જ ચાલ્યું આવે છે. ડાબેરીઓ સત્તા પર હતા ત્યારે પણ કેન્દ્રમાં જે કોઈ સરકાર આવે તેની સામે બાંયો ચઢાવવાના કે પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને સામને આવી જવાના બનાવ બન્યા હતાં.
તમિલનાડુમાં ૨૦૨૧ની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ટાએ હતો ત્યારે ડીએમકેના પ્રમુખ અને હવે ચૂંટણી બાદ લોકચૂકાદો મેળવી મુખ્યમંત્રી બનેલા સ્ટાલિનના જમાઈ સહિતના આગેવાનોને ત્યાં દરોડા પડાયા હતાં અને એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે સીધી કાર્યવાહી કરી હતી. જ્યારે કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વ હેઠળ જનતા દળ (એસ) અને કોંગ્રેસની ભાગીદારીવાળી સરકાર સત્તા પર હતી ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી શીવકુમાર અને તેના કુટુંબીજનો અને તેમના ભાગીદારોને ત્યાં ઈડીના દરોડા પાડવામાં આવ્યા હતાં અને અહેવાલો મુજબ CBI પણ તેમાં જાેડાઈ હતી.
CBI આમ તો સ્વાયત સંસ્થા કહેવાય છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે કેન્દ્રમાં જે પક્ષ સત્તા પર હોય તેણે પોતાના વિરોધીઓને વશ કરવાના કે દબાવવાના હથિયાર તરીકે CBIનો ઉપયોગ કર્યો છે. હાલના વડાપ્રધાન અને ગુજરાતના ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહેલા નરેન્દ્રભાઈ મોદી સામે પણ CBIએ તપાસ કરી હતી. જાે કે ૨૦૧૪ બાદ ક્લીનચીટ આપી હતી તે અલગ વાત છે. હાલના ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હતા ત્યારે તેમની સામે પણ CBIએ કાર્યવાહી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંંત્રી તરીકે ૨૦૧૨માં ચૂંટણી પ્રચાર કરતાં હતા ત્યારે તેઓએ અનેક સભાઓમાં એવું કહેલું છે કે મારી સામે કોંગ્રેસી નહિ પણ CBI લડે છે તે વખતે તેમણે CBIને કોંગ્રેસ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન એવું નામ પણ આપ્યું હતું. કોંગ્રેસના જમાનામાં તો કોર્ટે પણ CBIને ‘પઢાવેલો પોપટ’ ગણાવતી ટકોર કરી હતી.
હવે મોદી સત્તા પર આવ્યા બાદ તેમણે પોતાના વિરોધીઓ સામે CBI એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) અને આવકવેરા ખાતાનો ભરપુર ઉપયોગ કર્યો છે. જાે કે ૨૦૧૪ બાદ ‘કેગ’ના રિપોર્ટોની સંખ્યા તળિયે ગઈ છે. તેથી જ તો તમામ સરકારી ખાતાઓ જાહેર સાહસો વગેરેની ક્ષતિઓ બહાર આવતી નથી. ભૂતકાળમાં કેગના રિપોર્ટોના સહારે જ તત્કાલીન વિપક્ષ (હાલના સત્તાધારી પક્ષ) દ્વારા યુપીએ સરકારના ભ્રષ્ટાચાર તરીકે પ્રચાર કરાયો હતો અને મનમોહનસિંઘ જેવા વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રીની છબી ખરડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. ૨૦૧૪માં પહેલા જેની સામે ભ્રષ્ટાચારનો જરા સરખો પણ આક્ષેપ થાય કે તરત જ તેને રાજીનામું ધરી દેવા ફરજ પડાતી હતી. અત્યારે આવું નથી. કોઈપણ પ્રધાન સામેના આક્ષેપને રાજકીય અપપ્રચાર ગણવામાં આવે છે અને આક્ષેપ કરનારા સામે દુષ્પ્રચાર થાય છે.
કેન્દ્ર અને રાજ્ય આમને સામને હોવાના સૌથી વધુ બનાવો ગુજરાત અને કેન્દ્ર વચ્ચે ૨૦૧૪ પહેલા બન્યા છે. રાજ્યપાલે નિમેલા લોકાયુક્તની નિમણૂકને રદ કરાવવા ગુજરાત સરકારે સુપ્રીમ સુધી લડત કરી હતી પણ ફાવી નહોતી.
મહારાષ્ટ્રના હાલના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે એક જમાનાના કેન્દ્રના સાથીદાર હોવા છતાં તેમને ઘણી બાબતોમાં કેન્દ્ર સામે અવાજ ઉઠાવવો પડ્યો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દર સિંઘને પણ કેન્દ્ર સામે ઘણા પ્રશ્ને મોરચો માંડવો પડ્યો છે. કોરોના સહિતના અનેક પડકારોને સફળતાપૂર્વક ઝીલી રહેલી કેરળની વિજયનના નેતૃત્વ હેઠળની ડાબેરી સરકારને પણ ઘણી બાબતો અંગે કેન્દ્ર દ્વારા થતાં અન્યાયનો સામનો કરવો પડ્યો છે.
કૃષિ કાયદાના પ્રશ્ને તમામ વિપક્ષી સરકારો ઉપરાંત સંસદમાં અવારનવાર એનડીએને ટેકો આપનારા બિહાર આંધ્ર અને તેલંગણા કેન્દ્રની સામે છે. ભાજપની ભાગીદારીથી સરકાર ચલાવતા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હવે તો કેન્દ્રની ઘણી નીતિઓ સામે અવાજ ઉઠાવતા થઈ ગયા છે.
બંધારણનો ‘બ’ જાણનારા રાજકારણીઓ પણ હવે કહેતા થઈ ગયા છે કે કેગ સીબીઆઈ ઈડી તો ઠીક પરંતુ પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી હવે એવું કહેવું પડે તેમ છે કે ચૂંટણીપંચ પણ સ્વાયત્ત રહ્યું નથી તેવું કોઈ કહે તો જરાય ખોટું નથી તેવું ઘણા નિષ્ણાતો કહે છે. સ્વાયત્તતા નામનો શબ્દ હવે ઘણી સંસ્થાઓની ડિક્ષનરીમાંથી નીકળી ગયો છે.