Surat News: ગુજરાતના રાજકારણમાં એકબીજાની કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે સુરતમાં હાથ મિલાવ્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ની વિદ્યુત સહાયક પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટમીટર પ્રોજેક્ટના વિરોધમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સંયુક્ત પ્રદર્શન કર્યું. આદિવાસી યુવાનોના હક માટેની આ લડત શું રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવશે?
ગઈકાલે (3 જુલાઈ, 2025) અમદાવાદમાં AAPના સદસ્યતા અભિયાન દરમિયાન પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને એક જ સિક્કાની બે બાજુ ગણાવ્યા હતા. પરંતુ 24 કલાક પણ ન થયા ત્યાં, સુરતમાં AAP અને કોંગ્રેસના ધારાસભ્યો એકસાથે એક મંચ પર જોવા મળ્યા. DGVCLની વિદ્યુત સહાયક પરીક્ષામાં 1800થી વધુ પાસ થયેલા ઉમેદવારોને નિમણૂકપત્ર ન મળવાના મુદ્દે અને સ્માર્ટમીટર પ્રોજેક્ટના વિરોધમાં બંને નેતાઓએ કાપોદ્રા ખાતે DGVCLની મુખ્ય કચેરીએ પ્રદર્શન કર્યું.
આશરે પાંચ મહિના પહેલાં DGVCLની વિદ્યુત સહાયક પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા, પરંતુ 1800થી વધુ ઉમેદવારોને હજુ સુધી નિમણૂકપત્ર આપવામાં આવ્યા નથી. આ ઉમેદવારોમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો છે. ચૈતર વસાવા અને અનંત પટેલે આક્ષેપ કર્યો છે કે ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક ખાનગી કોન્ટ્રેક્ટ કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં ગેરરીતિઓ થઈ રહી છે.
“આદિવાસી યુવાનો પૈસા આપી શકતા નથી, તેથી તેમની નિમણૂક થતી નથી. કોન્ટ્રેક્ટના નામે ભરતીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ લડત સામાજિક ન્યાય માટે છે, કોઈ રાજકીય પક્ષ માટે નહીં.”
ભરતી વિવાદ ઉપરાંત, બંને નેતાઓએ સ્માર્ટમીટર પ્રોજેક્ટનો પણ વિરોધ કર્યો. તેમનો આરોપ છે કે આ પ્રોજેક્ટ ગરીબ અને આદિવાસી સમાજના લોકો પર આર્થિક બોજ નાખશે. સ્માર્ટમીટરના નામે ખાનગી કંપનીઓને ફાયદો થઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
અનંત પટેલનું નિવેદન
“દક્ષિણ ગુજરાતના યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. જો નિમણૂકપત્ર નહીં આપવામાં આવે, તો આગામી દિવસોમાં અમે મંત્રી કનુભાઈ દેસાઈના વાપી ખાતેના નિવાસસ્થાને હલ્લાબોલ પ્રદર્શન કરીશું.”
આ પણ વાંચો:સુરતનાં પુણા ગામમાં સાડીનાં કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગ, મારી નાખવાની આપી ધમકી
આ પણ વાંચો:સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં તબીબે આપઘાત કર્યો, પરિવારમાં શોક

