બંગાળમાં મોટી ફોજ અને વન મેન આર્મી વચ્ચેનો પ્રચારજંગ
ટીએમસી અને મમતા બેનરજીએ ગુજરાતમાં ભૂતકાળમાં ભાજપ અને નરેન્દ્રભાઈએ રાજ્યની અસ્મિતાનો જે પ્રચાર કરેલો તે જ સ્ટાઈલ અપનાવી સાથે મહિલા મતદારો સાથે સીધા સંવાદનો પ્રયોગ પણ કરાયો
વ્હીલચેરમાં બેસીને કોઈ મુખ્યપ્રધાને પોતાની સત્તા બચાવવા પ્રયાસ કર્યો હોય તેવો આ પ્રથમ જ વિક્રમસર્જક બનાવ બની રહે
@ હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કોરોનાના કેસોના વધતા કહેર વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીજંગ હવે ચાર ચરણ પૂરા કર્યા છે. નેતાઓએ વ્યક્તિગત આક્ષેપબાજી તો કરી જ છે જે કદાચ તમામ દેશોમા થયેલ ચંટણી પ્રચારનો અભ્યાસ થાય તો કદાચ ગીનીસ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી શકે. કોઈ દેશના વડાપ્રધાને એક રાજ્યમાં આટલી બધી રેલી કરી હોય તેવો પણ પ્રથમ બનાવ બની શકે. વ્હીલચેરમાં બેસીને કોઈ મુખ્યપ્રધાને પોતાની સત્તા બચાવવા પ્રયાસ કર્યો હોય તેવો આ પ્રથમ જ વિક્રમસર્જક બનાવ બની રહે. ભારતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે, દિલ્હીના પૂર્ણ સત્તા વગરના છતાં કામગીરીમાં સૌને પાછળ રાખી દેનારા દિલ્હીના અધિકારીમાંથી મુખ્યમંત્રી બનેલા અરવિંદ કેજરીવાલ અને દસ વર્ષના શાસન છતાં છેલ્લા એક વર્ષથી અનેક પડકારો સામે ઝઝૂમી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ પણ એક લડાયક મુખ્યમંત્રીઓની યાદીમાં મૂકવું જ પડે. મમતા બેનરજીની પ્રચાર શૈલી આ વખતે સાવ અલગ જ રહી છે.
ગુજરાતમાં ૨૦૧૨ અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શૈલીથી પ્રચાર કરેલો તે જ શૈલીથી મમતા દીદી પ્રચાર કરી રહ્યા છે. તેના મગજમાં જ છે અને તેમના ચૂંટણી સલાહકાર પ્રશાંત કિશોરને પણ ખબર જ છે કે કોણ તેમની સાથે છે અને કોણ તેમની સાથે નથી. પશ્ચિમ બંગાળમાં એક જ બેઠક અને તે ટીએમસીની સત્તાના પાયા સમાન નંદીગ્રામની એક જ બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરવી અને એક સાથે તમામ ઉમેદવારોના નામો જાહેર કરવા અને મહિલાઓને વધુ પ્રાધાન્ય આપવું, બાકીના તમામ સમાજને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આપવું વગેરે બાબતોને જાળવી રાખી છે, જ્યારે સામે પક્ષે ભાજપ જેટલી બેઠકો લડે છે તે બેઠકો પૈકી ૩૦ ટકા કરતાં વધુ બેઠકો પર ટીએમસીના પૂર્વ ધારાસભ્યોને ક પૂર્વ આગેવાનોને ટિકીટ આપવી પડી છે. બે ટકા ઉમેદવારો કોંગ્રેસ અને ડાબેરીઓના પૂર્વ આગેવાનો છે. રાજ્યસભાના એક અને લોકસભાના છ સાંસદોને ધારાસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. કોઈપણ પક્ષમાં ન હોય તેવી સેલીબ્રીટીને પણ ચૂંટણી જંગના મેદાનમાં ઉતારવી પડી છે તે પણ હકિકત છે. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે પશ્ચિમ બંગાળમાં ભાજપે પોતાના ધારાસભ્યોની સંખ્યા ત્રણથી વધારી ત્રણ આંકડામાં કરવા તૃણમુલના તણખલામાંથી પાયો ઉભો કર્યો છે.
પ્રચાર ઝૂંબેશની વાત કરીએ તો મુખ્ય જંગ ભાજપ અને ટીએમસી વચ્ચે જ છે. કોંગ્રેસ ડાબેરીઓ અને એક પ્રાદેશિક પાર્ટીનું ગઠબંધન ઘણું પાછળ રહી ગયું છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી સુધીમાં ૨૦ કરતાં વધુ રેલી કરી ચૂક્યા છે. ગૃહમંત્રી અમીત શાહ ૪૦ કરતાં વધુ રેલી અને રોડ કરી ચૂક્યા છે. તેમણે પૂરા ઝનૂનથી પ્રચાર કર્યો છે. જ્યારે ઓછામાં ઓછા ૨૦ જેટલા કેન્દ્રીય પ્રધાનો અને અગાઉ જણાવી ગયા તે પ્રમાણે સો સાંસદો પ્રચાર કરી ચૂક્યા છે. જ્યારે સામે પક્ષે ટીએમસીના મુખ્ય સ્ટાર પ્રચારક ગણાતા મમતા બેનરજી જ છે તેમણે વન મેન આર્મીની જેમ ત્યાંના સ્થાનિક નેતાઓના સહયોગથી ચૂંટણીપ્રચાર કર્યો છે. મમતા બેનરજી અને તેમના સલાહકાર અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે જે વ્યૂહ બનાવ્યો છે તે પ્રમાણે મોંઘવારી બેકારી ગેસ ડિઝલના ભાવવધારાના કારણે આમ આદમીને થતી પરેશાની, જાહેર સાહસોના ખાનગીકરણ સહિતના કેન્દ્રને સ્પર્શતા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો જ છે.
તો સૌથી મોટી અને મહત્ત્વની વાત છે એ બંગાળ અને બંગાળીઓની અસ્મિતાની કરી છે. બંગાળ એ દિલ્હીના કે બે ગુજરાતી કેન્દ્રીય પ્રધાનોના ઈશારે નહિ ચાલે. બંગાળની અસ્મિતાના નામે આખી ચૂંટણી મમતા બેનરજી લડ્યા છે. તેમણે બાકીના કોઈ પક્ષો કરતાં મહિલાઓને વધુ પ્રમાણમાં ટિકિટ આપી છે તેવા પ્રચારમુદ્દા સાથે મહિલા સશક્તિકરણની વાતો વટથી કરે છે તો દરેક રેલી અને જાહેર સભાઓમાં રોડ શો માં મહિલાઓની હાજરી પણ હોય છે અને દિલ્હી સહિત ઉત્તર ભારતના અખબારોને જેની નોંધ લેવી પડી છે તે પ્રમાણે દરેક સભાઓમાં મહિલાઓ સાથે સીધો સંવાદ કરે છે. મહિલાઓ સહિત તમામ વર્ગ માટે પગલાં ભર્યા હોવાનું કહી મહિલાઓ પાસે મત માગે છે. ખાસ કરીને નંદીગ્રામના પ્રચાર વખતે થયેલી ઈજા છતાં ડોકટરોની સલાહને અવગણીને પ્રચાર ચાલુ રાખ્યો અને વિવેચકોને પણ આની નોંધ લેવી પડી.
નંદીગ્રામમાં તેમના ભાજપી પ્રતિસ્પર્ધી અને તેમના એક જમાનાના નજીકના સાથીદાર એવા શુભેન્દુ અધિકારીએ પગનું પ્લાસ્ટર દેખાડવા બરમુડા પહેરવાની સલાહ આપતું જે સૂચન કર્યુ તેની પણ મહિલા મતદારો પર ખૂબ અસર પડી છે. દેશના એક માત્ર મહિલા મુખ્યમંત્રીને હરાવવા માટેનું કેન્દ્રનું કટર ઉતરી પડ્યું છે તે બાબતને પણ પ્રચારનો મુદ્દો બનાવી દીધો છે. અધુરામાં પુરૂ હોય તેમ ચૂંટણી પંચે મમતા બેનરજીના મુસ્લિમ મતદારોને કરેલી અપીલને રાજકીય સ્વરૂપ અપાવી ભાજપના મોવડીઓની ફરિયાદના આધારે એક દિવસ માટે પ્રચારથી દૂર રાખ્યા તે બાબતની તેમના માટે મહિલા મતદારોમાં વધુ સહાનુભુતિ મેળવનારૂ શસ્ત્ર બન્યું છે અને તેનો પ્રચાર પણ થાય છે.
બંગાળની સ્થિતિ અંગે આઈબીનો લીક થયેલા અહેવાલને ઝડપથી વાયરલ કરી ભાજપના શસ્ત્ર સામે આવું જ હથિયાર ઉગામ્યું છે. જ્યારે પ્રશાંત કિશોરની પત્રકારો સાથેની વાતચીત અંગેના માત્ર કેટલાક અંશો પ્રસારિત કરી દીદી હારે છે તેવું વાતાવરણ ઉભુ કર્યું પણ પુરી વિગતો જાહેર કરવાનો અને પીકેએ છેલ્લે કહ્યું છે તે મુજબ ભાજપને ત્રણ આંકડાની બેઠકો મેળવવામાં પણ મુશ્કેલી પડશે તે વાત જાહેર કરવાનો પીકેનો પડકાર ભાજપના નેતાઓ હજી સુધી ઝીલી શક્યા નથી તે પણ હકિકત છે. ટૂંકમાં પીકેના વિધાનોવાળુ ભાજપે વાપરેલું હથિયાર તેને જ વાગ્યું તેવી પશ્ચિમ બંગાળની અગ્રણી અખબારોએ નોંધ લીધી છે. ગુજરાતમાં જે રીતે ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીમાં મોદી સામે કોંગ્રેસના શ્રીમતી સોનિયા ગાંધી સહિતના આગેવાનો ગમે તેવા વિધાનોનો પ્રયોગ કરતાં હતાં તેને ગુજરાતવિરોધી ગણાવવામાં મોદી સફળ થયા હતા.
ભાજપના સ્ટાર પ્રચારકો પણ સફળતા મેળવી ગયા હતા તે જ રીતે આ વખતે સફળતા મેળવવા ટીએમસીના સ્ટાર પ્રચારકો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસની બાજી જેમ કોંગ્રેસના નેતાઓના વ્યક્તિગત પ્રહારોવાળી આક્ષેપબાજીએ બગાડી હતી તે વાત ધ્યાનમાં રાખીને ટીએમસી પણ દીદી ઓ દીદી જેવા લહેકાવાળા વડાપ્રધાનના ઉચ્ચારણો અને રાજીનામું તૈયાર રાખજાે, બીજીએ તમારી વિદાય નિશ્ચિત છે તેવા અમીત શાહના તેમજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા પ્રચારકોના માત્ર ધાર્મિક લાગણી ઉશ્કેરતા વિધાનો બંગાળની અસ્મિતા પર પ્રહાર કરવા સમાન હોવાનો પ્રચાર પણ ટીએમસીએ કર્યો છે. વડાપ્રધાન મોદી અમીત શાહ સહિતની ફોજ સામે મમતા બેનરજીનો વનમેન આર્મી જેવો પ્રચાર સફળ થાય છે કે નહિ તે તો બીજી મે એ ખબર પડશે પણ એક મહિલા મુખ્યમંત્રીને હરાવવા આખી ફોજ મેદાનમાં ઉતારવાની ફરજ પડી તે બાબત પડકરા સમાન તો છે જ.