Chandrachur Singh Family Property Dispute: બોલિવૂડ અભિનેતા ચંદ્રચૂડ સિંહના પરિવારમાં પુશ્તૈની મિલકતને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે. અભિનેતાએ પોતાના જ પરિવારના કેટલાક સભ્યો સહિત કુલ સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે દાદાની મિલકતમાં તેમના પિતાનો કાયદેસર વારસાઈ હક દૂર કરવા માટે કથિત રીતે બનાવટી વસીયતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ફોઈ સહિત સાત લોકો સામે કેસ
આ વિવાદ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના જલાલપુર ગામમાં આવેલી પરિવારની જમીન અને અન્ય સંપત્તિને લઈને છે. ચંદ્રચૂડ સિંહે પોતાની ફોઈ, બે પિતરાઈ ભાઈઓ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મિલકતના વારસાઈ હક સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

દાદાની બીમારી દરમિયાન બનાવટી સહીનો આરોપ
અભિનેતાના જણાવ્યા પ્રમાણે, તેમના દાદા ઠાકુર હરેન્દ્ર પાલ સિંહ પાસે મોટી માત્રામાં જમીન-જાયદાદ હતી. ચંદ્રચૂડનો(Chandrachur Singh) આરોપ છે કે વર્ષ 1997માં દાદાની તબિયત ખૂબ ખરાબ હતી અને તે સમયે તેઓ દસ્તાવેજ પર સહી કરવાની સ્થિતિમાં નહોતા. આ પરિસ્થિતિનો કથિત લાભ લઈને તેમની સહીની નકલ કરવામાં આવી અને એક વસીયત તૈયાર કરવામાં આવી હોવાનો આરોપ છે. ચંદ્રચૂડનું કહેવું છે કે આ પ્રક્રિયાના કારણે તેમના પિતા કેપ્ટન બલદેવ સિંહને મિલકતમાં મળતો વારસાગત હક અસરગ્રસ્ત થયો.
મિલકત અન્ય લોકોના નામે ટ્રાન્સફર કરવાનો પણ આરોપ
ચંદ્રચૂડ સિંહે(Chandrachur Singh) એવો પણ દાવો કર્યો છે કે વિવાદિત વસીયતમાં દર્શાવાયેલી કેટલીક કિંમતી મિલકતો બાદમાં અન્ય લોકોના નામે ટ્રાન્સફર કરવામાં આવી અથવા વેચી દેવામાં આવી. પોલીસે ફરિયાદ બાદ મામલાની તપાસ શરૂ કરી છે અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ, સામે પક્ષે આ તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.
ફિલ્મી કરિયર પણ રહ્યું ચર્ચામાં
ચંદ્રચૂડ સિંહ(Chandrachur Singh) 90ના દાયકાથી ફિલ્મ જગતમાં સક્રિય રહેલા જાણીતા અભિનેતા છે. તેમણે અનેક ફિલ્મો અને પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તાજેતરમાં તેઓ અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘કઠપુતલી’માં જોવા મળ્યા હતા. તેમની ફિલ્મ ‘બયાન’ પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ ચૂકી છે. હવે ફિલ્મી દુનિયાના આ જાણીતા અભિનેતા પોતાના પરિવારની પુશ્તૈની મિલકતને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
