Entertainment News : અભિનેત્રી એલા ડી વર્મા (Ella D Verma)એ પોતાની જિંદગી અને ટ્રાન્સજેન્ડર અંગે ખુલાસો કર્યો છે. સિદ્ધાર્થ કન્નન (Siddharth Kannan)ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે ટ્રાન્સજેન્ડર સમુદાય સાથે જોડાયેલા પડકારો, સમાજમાં થતા ભેદભાવ અને પોતાની ઓળખ અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.
Ella D Verma એ એક ઈન્ટર્વ્યુમાં પોતાના અનુભવો કર્યા શેર
એલા ડી વર્માનો જન્મ છોકરા તરીકે થયો હતો, પરંતુ બાળપણથી જ તેમને પોતાની ઓળખ છોકરી તરીકે અનુભવાતી હતી. પરિવાર સામે પોતાની વાત રજૂ કર્યા બાદ તેમણે જેન્ડર બદલી સર્જરી કરાવી અને પોતાની ઓળખ મુજબ જીવન જીવવાનું પસંદ કર્યું.

ઇન્ટરવ્યૂ દરમિયાન એલા ડી વર્માને એક ઇવેન્ટમાં જીન્સ પહેરવામાં થયેલી અસુવિધા અંગે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ એવા કપડાં પહેરવાનું ટાળે છે જેમાં તેમના પગ અલગ-અલગ દેખાય.
એલાએ જણાવ્યું કે તેઓ જીન્સ કે પેન્ટ પહેરતી નથી, પરંતુ સાડી અને સ્કર્ટ પહેરવાનું પસંદ કરે છે. પોતાના શરીરને લઈને અસુરક્ષાની લાગણી અંગે તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને કોઈને કોઈ બાબતને લઈને અસુરક્ષા હોય છે અને તેમની અસુરક્ષા તેમના શરીરના કેટલાક અંગોને લઈને છે.
‘મંગલ મુખી’ના શૂટિંગ દરમિયાન પણ હતી ચિંતા
એલાએ જણાવ્યું કે કેટલીક પરિસ્થિતિઓ વ્યક્તિને પોતાના શરીર અંગે વધુ જાગૃત બનાવે છે. ‘મંગલ મુખી’ના શૂટિંગ દરમિયાન પોલીસની વેશભૂષા પહેરતી વખતે પણ તેઓ અસ્વસ્થ અને ડર અનુભવતા હતા.
જોકે, શોના સેટ પર તેમને ટીમનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. એલાના જણાવ્યા અનુસાર, ટ્રેલર ટીમે તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને એવો આઉટફિટ તૈયાર કર્યો હતો કે જેથી તેમને કોઈ પ્રકારની અસ્વસ્થતા ન થાય.
‘છોકરી બનવા માટે ઘણું સહન કર્યું’

એલાએ પોતાની જેન્ડર ટ્રાન્ઝિશનની સફર વિશે વાત કરતાં જણાવ્યું કે છોકરી તરીકે પોતાની ઓળખ સ્વીકારવા માટે તેમણે ઘણું સહન કર્યું છે. સમાજ અને સંબંધીઓ તરફથી મળતા તાણા અને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં, તેઓ પોતાની ઓળખ છુપાવીને જીવન જીવવા માંગતી નહોતી. પોતાની ઓળખને સ્વીકારીને જિંદગી જીવવાનો નિર્ણય તેમણે કર્યો હતો.
ટ્રાન્સજેન્ડર સમુદાયના પડકારો અંગે પણ વાત કરી
ઇન્ટરવ્યૂ દરમિયાન એલાએ ટ્રાન્સજેન્ડર સમુદાય (Transgender community)ને રોજગાર અને સામાજિક સ્વીકાર મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સમાજમાં ટ્રાન્સજેન્ડર લોકો માટે રોજગારીની તકો મર્યાદિત હોવાના કારણે કેટલાક લોકોને ભીખ માંગવા અથવા અન્ય મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.
એલાએ પોતાને ભાગ્યશાળી ગણાવતાં કહ્યું કે તેમને રસ્તા પર ભીખ માંગવાની સ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. સાથે જ તેમણે ટ્રાન્સજેન્ડર સમુદાય પ્રત્યે સમાજમાં વધુ સંવેદનશીલતા અને સ્વીકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો:ટ્રાન્સજેન્ડર ઓળખપત્ર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી; કેન્દ્ર સરકારે માંગ્યો સમય
આ પણ વાંચો:આ કોઈ ભેદભાવ નથી! સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું- ટ્રાન્સજેન્ડર્સ અને સમલૈંગિકો રક્તદાન નહીં કરી શકે
