Ahmedabad News: મુખ્યમંત્રી એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી ૨૫મી સપ્ટેમ્બરે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહા શ્રમદાનના કરવામાં આવેલા આયોજનમાં સહભાગી થયા હતા અને ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં સાફ-સફાઈ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તારીખ 17 સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી બીજી ઓક્ટોબર-2025 સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્વચ્છતા હી સેવા-2025 અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 2.97 લાખથી વધુ નાગરિકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડાયા છે. 1877 મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરીને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરનાં 5495 જેટલા મુખ્ય રસ્તાઓ, 3677 થી વધુ કોમર્શીયલ વિસ્તાર તેમજ 3229થી વધુ રહેણાંક વિસ્તારની સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી થતા રાહે ખેર ગર્લ્સ હાઈસ્કૂલ, ખમાસાની વિદ્યાર્થીનીઓને મળીને તેમના દ્વારા સ્વચ્છતા અંગે તૈયાર કરાયેલા ચિત્રો નિહાળ્યા હતા અને સ્વચ્છતાનો સંદેશો આવી જ રીતે જનજન સુધી પહોંચાડવા વિદ્યાર્થીનીઓને પ્રેરણા આપી હતી.

આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે અનુપમ બ્રિજ પાસે તેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ વેળાએ અમદાવાદનાં મેયર પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યો સર્વ અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, અમુલભાઈ ભટ્ટ, દર્શનાબેન વાઘેલા, દિનેશભાઇ કુશવાહ, જીતુભાઇ પટેલ, શહેરના અગ્રણીઓ પ્રેરકભાઈ શાહ અને ભૂષણભાઈ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ- અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા
