સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ
ચુડા મામલતદાર કચેરીએ ક્રિમિનલ, આવક, જાતિ સહિતના દાખલા લેવા માટે વહેલી સવારે 5 વાગ્યે વિદ્યાર્થીઓ અને વાલીઓ લાઈન લગાવી ઊભા રહી જાય છે. ચુડા મામલતદાર કચેરીએ દરરોજ 100થી વધુ લોકો સરકારી સહાય કે શિક્ષણ ઉપયોગિતા માટે દાખલા કઢાવા માટે આવતા હોય છે. જેમાંથી માંડ 40 જેટલા લોકોને દાખલો મળવાની ખુશી પ્રાપ્ત થાય છે. બાકીના લોકો સમય અને પૈસાની બરબાદી કરી ધક્કા ખાઈ ઘરે પરત ફરે છે.
AAPએ મામલતદારને આવેદન આપી 2 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણા પર બેસવાની તૈયારી બતાવી
ચુડા મામલતદાર કચેરીએ 13 કલાક ખડે પગે ઊભા રહી તપસ્યા કરવા છતાં લોકોને દાખલ નહીં મળતાં હોવાની રાવ ઉઠી રહી છે. 2થી 3 ધક્કા ખાવા છતાં લોકો દાખલા મેળવવાથી વંચિત રહી જાય છે. ચુડા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ કિર્તીરાજસિંહ રાણા, મંત્રી દિનેશભાઈ રૂદાતલા, યુવા પ્રમુખ કપિલભાઈ લેરખડિયા, મહામંત્રી મેઘરાજસિંહ સહિત કાર્યકર્તાઓએ કચેરીએ આવતા તમામ લોકોને દાખલા મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી આપવા મામલતદાર એ.એસ.ઝાંપડાને આવેદન આપ્યું હતું.
જો બે દિવસમાં પ્રશ્નનો હલ નહીં આવે તો ધરણા પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી.આ અંગે મામલતદાર એ.એસ.ઝાંપડાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં 40 દાખલા નીકળતા હતા. હાલ અમે 100 જેટલા દાખલ કાઢી આપીએ છીએ. પરંતુ અમારી પાસે દાખલા કાઢવા માટે એક જ ઓપરેટર છે. માટે થોડી મુશ્કેલી પડી રહી છે. ઓપરેટર વધારવા મેં કલેક્ટરને રજૂઆત કરી છે.