@પ્રફુલ્લ ત્રિવેદી
ગુજરાતની ચૂંટણી નિયત સમય કરતાં વહેલી આવશે તેવી સ્થિતિ આકાર લેવા માંડી છે,આગામી દિવસોમાં સરકાર તેનું રાજીનામું આપી દેશે અને નવી ચૂંટણીની ઘોષણા થઇ જશે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઇ રહ્યા છે.
ગુજરાતની વર્ષાન્તે આવી રહેલી ચૂંટણી મે-જૂનમાં આવી જશે તેવા આસાર સાંપડે છે. ભાજપના ચાર રાજ્યોમાં વિજ્યપતાકા લહેરાયા બાદ તુરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેનો વિજ્યોત્સવ મનાવ્યો હતો,ઉપરાઉપરી ત્રણ રોડ-શો કર્યા હતા.એક જ મહિનાના ટૂંકાગાળામાં તેઓ ફરી ગુજરાત આવી રહ્યા છે. દાહોદના આદિવાસી પટ્ટાની મુલાકાત લેનાર છે.આ સમયગાળામાં જ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે.બીજી તરફ આપના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી માને,કોંગ્રેસના રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓ પણ આવી રહ્યા છે. એટલે કે એપ્રિલમાં રાજકિય ધમધમાટ શરૂ થઇ જવાનો છે.
વહેલી ચૂંટણીના કારણો
1.ચૂંટણી વહેલી આવશે તેનું સૌથી મોટું કારણ એ છે કે ચાર રાજ્યોમાં ભાજપને મળેલી જીતનો ઉત્સાહ હાલ કાર્યકરોમાં અને લોકોમાં પરાકાષ્ઠાએ છે,તેને ભાજપ વટાવી લેવા માંગે છે.
2.’આપ’ નો પંજાબમાં વિજ્ય થયો હોવાથી તેનો આત્મવિશ્વાસ વધી ગયો છે. તેને તૈયારીઓનો પુરતો સમય ન મળે તેવું ભાજપ ઇચ્છે છે.
3.ચોમાસુ ખરાબ જાય તો તેની વિપરીત અસર ચૂંટણી પર થવાની ભીતિ છે.
4.ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો તેમને પણ સંગઠન સરખુ કરવાનો સમય ના મળે.
લોજીક ક્યું ?
વહેલી ચૂંટણી માટે લોજીક આપવામાં આવે છે કે ,ઉંઝામાં આશાબેન પટેલના દુ:ખદ અવસાનથી ખાલી પેડલ ધારાસભ્યની પેટા ચૂંટણીની હજુ જાહેરાત કરાઇ નથી. જ્યારે બંગાળમાં આસનસોલ વગેરેની પેટા ચૂંટણીઓ યોજાઇ પણ ગઇ.