Gujarat News : ગુજરાતમાં એપ્રિલ મહિનામાં યોજોનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અંદાજે 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 એપ્રિલના રોજ શાહીબાગમાં સરદાર સ્મારક અને 9 એપ્રિલના રોજ રિવરફ્રન્ટ ખાતે યોજાશે. ત્રિ દિવસીય યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત તા. 7 એપ્રિલથી થશે.
7 એપ્રિલની સાંજે 7 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાશે. દેશના જુદા જુદા રાજ્યોને જોડતો એક સાંસ્કૃત્તિક કાર્યક્રમ દ્વારા ભારતની ઝાંખી દેખાડાશે.8 એપ્રિલે સવારે 11 વાગ્યે શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યે ગાંધીઆશ્રમમાં પ્રાર્થના સભા થશે. કોંગ્રેસના સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ મુખ્ય આગેવાનો અહીં ઉપસ્થિત રહેશે.
9 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે.આ પહેલા 1961માં ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું. આમ 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે. તેમાં પણ યોગાનુયોગ 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું હતું અને આ વખતે ભાવનગરના વતની એવા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ પદે છે. તે અધિવેશન સમયે વર્તમાન પ્રદેશ પ્રમુખ માત્ર 1 વર્ષના હતા.
લોકસભા ચૂંટણી-2024 બાદ રાહુલ ગાંધી જુલાઈ, 2024માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો તે રીતે ગુજરાતમાં પણ હરાવીશું.કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જ પડકાર ફેંક્યો હતો. તે વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે, તમે લખીને રાખો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. વિપક્ષ ઈન્ડિ ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે.
અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી 9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે.
આ AICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલ ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી.ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે, જો આગળ વધવું હોય તો, ભાજપને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે.
1961માં ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, વાય.બી. ચવ્હાણ, જ્ઞાની ઝૈલસિંઘ, શ્રવણસિંગ વગેરે દેશના મોટા ગજાના આગેવાનો આવ્યા હતા. તે વખતે સરદારનગર વિસ્તારમાં ખુલ્લી જમીન હોવાથી આ અધિવેશનનો મંડપ ત્યાં બનાવાયો હતો. અધિવેશન પુરૂ થયા પછી સરદારનગરમાં જમીનના પ્લોટો પાડીને રહેણાંકી વિસ્તાર બનાવાયો હતો અને રૂપાણી સર્કલથી ભરતનગર સુધીનો વિસ્તાર રહેણાંકી બની ગયો હતો.
ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે સ્વામિનારાયણ ગુરૂકુળના સ્થાપક નારાયણ પ્રિયદાસજીને જમીન આપી હતી. અને ત્યાં ધીમે ધીમે સેંકડો વિદ્યાર્થીઓનું એક મોટુ સંકુલ ઉભુ કર્યું હતું અને તેનો વહિવટ તેના શષ્ય કે.પી. સ્વામીને સોંપ્યો હતો. નારાયણપ્રિયદાસજીએ આ સંકુલમાં એક મોટો હોલ, જેમાં વચમાં એક પણ થાંભલો ન હોય તેવો બનાવ્યો હતો.રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો. જો કે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.
આ પણ વાંચો:પાયલ ગોટી મેડિકલ ચેકઅપ નહીં કરાવે, પાટીદાર નેતાઓએ SP સહિતના પોલીસ અધિકારીઓની DGP ને ફરિયાદ કરશે
આ પણ વાંચો:મનીષ વઘાસિયાએ પત્ર સાચો હોવાનો દાવો કર્યો ,કહ્યું’પાયલનો કોઈ રોલ નથી…’
આ પણ વાંચો:જાહેરમાં સરઘસ કાઢવા મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ NHRC ને લખ્યો પત્ર
