વાલ્મીકિ રામાયણમાં રામ વાલ્મીકિ રામાયણના સુંદરકાંડના સર્ગ 35માં શ્લોક 6થી 23 સુધી રામનાં રૂપનું વિસ્તારથી વર્ણન છે. રામજીના ખભા અને ભુજાઓ વિશાળ છે. ગળાનું હાડકું માંસથી આવરિત છે. નેત્રોમાં થોડી-થોડી લાલાશ છે. તેમનો રંગ શ્યામલ છે. તેમનાં પેટ અને કંઠમાં ત્રિબલી (ત્રણ રેખા) પડે છે. તેમના મસ્તકની ઉપર ચાર ભ્રમર છે. ચોવીસ આંગળના હાથથી માપીએ તો તેઓ ચાર હાથ લાંબા છે.

પાર્શ્વભાગ, ઉંદર, છાતી, નાક, ખભા અને લલાટ – આ છ અંગ ઊભરેલાં છે. આંગળીઓનાં ટેરવાં, માથાના વાળ, રૂંવાડાં અને દાઢીના વાળ કોમળ છે. તેમના ચાર દાંત ચીકણા, પરસ્પર મળેલા અને તીક્ષ્ણ છે. શરીરમાં જે બે-બેની સંખ્યામાં 14 અંગ હોય છે, એ પણ પરસ્પર સમાન છે. આ અંગો છેઃ ભ્રમર, નસકોરાં, નેત્ર, કાન, હોઠ, સ્તન, કોણી, કાંડા, જાંઘ, ગોઠણ, અંડકોષ, કમરના બંને ભાગ, હાથ અને પગ.

તેમના સાવકા ભાઈ લક્ષ્મણ પણ ખૂબ તેજસ્વી છે. ફરક માત્ર રંગનો છે. લક્ષ્મણની કાંતિ સુવર્ણને સમાન ગૌર છે અને રામનો વિગ્રહ શ્યામ છે.

” વાલ્મીકિ રામાયણમાં રાવણ વાલ્મીકિ રામાયણમાં સુંદરકાંડના સર્ગ 10માં શ્લોક 6થી શ્લોક 30 સુધી રાવણનાં રૂપ અને વેશનું વિસ્તારથી વર્ણન છે. પલંગ પર કાળા મેઘની જેમ કાળા રંગનો, કાનમાં ચમકતા કુંડળ ધારણ કરેલો, લાલ આંખોવાળો, વિશાળ બાહુવાળો છે. આખા શરીર પર ચંદન લગાવેલું, દિવ્ય અલંકારો ધારણ કરેલો કામરૂપી રાવણ એવો દેખાય છે જાણે મંદરાચલ પર્વત પડ્યો પડ્યો સૂઈ રહ્યો છે. તેની બંને ભુજાઓ ૫૨ ઐરાવત હાથીના દાંતોથી થયેલી ઈજાનાં નિશાનો, ખભા પર વજ્ર વાગવાનાં નિશાન અને સુદર્શન ચક્ર વાગવાનાં પણ નિશાન હતાં. તેની માંસલ અને પહોળી છાતી હતી. તે સફેદ રેશમી ધોતી અને પીળા રંગનો દુપટ્ટો પહેરેલો હતો. તેનું મુખ ખૂબ સુંદર દેખાતું હતું. એક અન્ય પ્રસંગમાં રાવણને જોઈને હનુમાન કહે છે.

अहो रूपमहो धैर्यमहोत्सवमहो द्युतिः ।
अहो राक्षसराजस्य सर्वलक्षणयुक्तता ॥
અર્થાત ૨ાવણમાં રૂપ, સૌંદર્ય, ધૈર્ય, કાંતિ જેવાં તમામ લક્ષણ છે. જો તેનામાં અધર્મ ન હોત, તો તે દેવલોકના પણ સ્વામી બની ગયો હોત.

વાસ્તવમાં, આ સંપૂર્ણ મામલો ફિલ્મનું ટિઝર લોન્ચ થયું ત્યારથી જ ગરમાયેલો છે. ટિઝર જોયા બાદ ઘણાં લોકોએ ધાર્મિક લાગણી દુભાવાનો આરોપ લગાવ્યો છે. જૌનપુરના જોગિયાપુર વિસ્તારના રહેવાસી અને સિવિલ કોર્ટના વકીલ હિમાંશુ શ્રીવાસ્તવે તેમના વકીલ ઉપેન્દ્ર વિક્રમ સિંહ મારફત કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મનું ટીઝર 5 ઓક્ટોબરે રિલીઝ થયું હતું. જયાર બાદ મારા સિવાય પણ ઘણાં લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.

તમને જણાવી દઈએ કે, અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભગવાન શ્રીરામચંદ્ર અને માતા સીતાને આપત્તિજનક અને અશોભનિય પોશાકમાં દર્શાવવામાં આવ્યા છે. જેમાં અભિનેતા પ્રભાસ રામ અને કૃતિ સેનન સીતાના પાત્રમાં જોવા મળી રહ્યા છે. ત્યારે, સૈફ અલી ખાન રાવણ અને દેવદત્ત ગજાનન હનુમાનનું પાત્ર ભજવી રહ્યા છે. હનુમાને ચામડાંના વસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેના સિવાય એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે ફિલ્મ દ્વારા રાવણને યોગ્ય સાબિત કરશે. જેનાથી લોકોની લાગણી દુભાઈ છે.

તાજેતરમાં રામાયણ પર આધારિત ફિલ્મ આદિપુરુષ થિયેટરોમાં રિલીઝ થતાં જ તેને લઈને વિવાદ સર્જાવાનું શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ઘણા મીમ્સ પોસ્ટ થઈ રહ્યા છે.
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રામનું પાત્ર દક્ષિણ ભારતના અભિનેતા પ્રભાસ, સીતાનું પાત્ર કૃતિ સેનન અને રાવણનું પાત્ર સૈફ અલીખાન ભજવી રહ્યાં છે. રામાયણ એ ભારતમાં આસ્થાનું કેન્દ્ર છે. કેટલાક લોકો રામાયણને એક મહાકાવ્ય ગણાવે છે, કેટલાક તેને એક કહાણી તો કેટલાક ઇતિહાસ ગણાવે છે. રામાયણ અલગઅલગ સ્વરૂપમાં ભારતમાં પ્રચલિત છે. તેના પર જુદાજુદા મત છે પરંતુ ભારતીય માનસમાં તેની છાપ અમીટ છે. જેથી આદિપુરુષને સંદર્ભે ઉત્સુકતા હોય એ સ્વાભાવિક હતું. ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી આ ફિલ્મ સતત ચર્ચામાં છે.

ફિલ્મ રિલીઝ થવામાં વિલંબ પાછળ તેમાં ગ્રાફિક્સના ફેરફારને કારણભૂત ગણાવાયો હતો. પરંતુ હવે ગ્રાફિક્સને કારણે ફિલ્મની ટીકા પણ થઈ રહી છે. એટલું નહીં ફિલ્મનાં ડાયલૉગ અને ભાષાને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે. નોંધનીય છે કે આદિપુરુષ ફિલ્મના શોમાં એક સીટ હનુમાન માટે અનામત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. નિર્માતાઓની સફળતાની આશા વચ્ચે ‘આદિપુરુષ’ બૉક્સ ઑફિસ પર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોના રોષનો ભોગ બની રહી છે.
ટ્રેન્ડુલકર નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે કે ફિલ્મને જોતાં લાગે છે કે ફિલ્મના પ્રોડ્યૂસરોએ 100 ટકા બેઠકો અનામત રાખવી પડશે. ત્યારે પૂજા ત્રિપાઠીએ ટીકા કરતાં લખ્યું છે કે, “પોતાનું આવું સ્વરૂપ જોઈએ રાવણ પોતાની જ નાભિમાં તીર ભોકી લેત. વિભિષણે કંઈ કહેવાની જરૂર જ ન પડી હોત.” “આદિપુરુષની ટીમે બહુ રિસર્ચ કર્યા બાદ જાણ્યું કે રાવણ અજગરની શૈયા પર આરામ કરતો હતો. મેઘનાદના આખા શરીર ત્રોફેલું હતું અને સૌથી મોટી શોધ એ કે રાવણ રૉકસ્ટાર પણ હતો.”

ફિલ્મમાં હનુમાનના એક ડાયલૉગને લઈને પણ ખૂબ વિવાદ થઈ રહ્યો છે. ફિલ્મમાં દેવદત્ત નાગે ‘ભગવાન હનુમાન’નું પાત્ર ભજવ્યું છે, તેમજ વત્સલ સેઠ ઇન્દ્રજિતની ભૂમિકામાં છે.એક દૃશ્યમાં લંકાદહન પહેલાં હનુમાન કહે છે, “કપડાં તારા બાપના, તેલ તારા બાપનું, અગ્નિ પણ તારા બાપની તો….” આ ડાયલૉગને લઈને સોશિયલ મીડિયા પર લોકો ભડકી ઊઠ્યા છે. લોકોનું કહેવું છે કે ભગવાન હનુમાન માટે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ.
રોશન રાય નામના યૂઝરે લખ્યું કે આદિપુરુષ પછી રામાનંદ ગાથા પ્રત્યે તેમનું મનમાં માન 100 ગણું વધી ગયું છે. તેમણે લખ્યું, “26 વર્ષ પહેલાં વિના કોઈ ટેકનિક અને સીમિત સંસાધનોમાં તેણે એવું જાદૂ કર્યું હતું કે તેનો આજે પણ મુકાબલો નથી.” જસ્ટ એ ફૅન નામના એક યૂઝરે લખ્યું કે, “ઓમ રાઉતે ફિલ્મ બનાવવાનું રામ કર્યું.” ચાર્મી મોદી મહેતા નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું છે, “મેં ફિલ્મ આદિપુરુષની ટિકિટ રદ કરાવી છે, કારણ કે હું મારી પુત્રીને ખોટી રામાયણ નથી બતાવવા માગતી.”

પ્રવીણ ધુલે લખ્યું છે કે, “આદિપુરુષ ફિલ્મ નથી પરંતુ એક અપરાધ છે. પવિત્ર રામાયણ સાથે બહુ જ અભદ્ર, અસહનીય અને બર્બર મજાક કરવામાં આવી છે. આ ફિલ્મમાં સનાતન ધર્મની ફિલ્મજગતે મજાક ઉડાડી છે. આખરે ક્યાં સુધી આપણી સંસ્કૃતિ સાથે રમત થશે.”
ભારતમાં જ નહીં નેપાળમાં પણ ફિલ્મને લઈને વિવાદ થઈ રહ્યો છે. આદિપુરુષમાં સીતાના પાત્રના ડાયલૉગ પર નેપાળમાં વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મમાં સીતાને ભારતનાં પુત્રી તરીકે દર્શાવવા પર નેપાળમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. નેપાળની રાજધાની કાઠમાંડુના મેયર બલેન્દ્ર શાહે આ અંગે વિરોધ નોંધાવ્યો છે. તેમણે ફિલ્મનિર્માતાઓને ફિલ્મમાંથી આ ડાયલૉગ હઠાવી લેવાની વિનંતી કરી છે. મેયરનું કહેવું છે કે ફિલ્મનિર્માતાઓને આની માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

બીજી તરફ ફિલ્મજગતનાં સૂત્રોએ જણાવ્યું છે કે નેપાળ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મના વિવાદાસ્પદ ડાયલૉગને મ્યૂટ કરવામાં આવ્યા છે. બલેન્દ્ર શાહે જ્યાં સુધી ફિલ્મમાંથી સીતા ભારતનાં પુત્રી છે તે ડાયલૉગ નહીં હઠાવાય ત્યાં સુધી કાઠમાંડુ મેટ્રોપૉલિટન સિટીમાં કોઈ પણ હિંદી ફિલ્મ નહીં ચાલવા દેવાય. નેપાળના સેન્સર બોર્ડના સભ્ય રિશિરાજ આચાર્ય કહે છે કે, “અમે આ ફિલ્મ જોઈ છે. અમે વિતરકોને જણાવ્યું છે કે અમુક સંવાદો હઠાવ્યા પછી જ આ ફિલ્મ બતાવી શકાશે.”
આ પણ વાંચો:મંતવ્ય વિશેષ/બિપરજોય વાવાઝોડાને લઈને દરેક માહિતી
આ પણ વાંચો:મંતવ્ય વિશેષ/કાઠમંડુના મેયરે યુપી-બિહાર પર કર્યો દાવો, તેમની ઓફિસમાં લગાવ્યો ગ્રેટર-નેપાળનો નકશો
આ પણ વાંચો:મંતવ્ય વિશેષ/બિપરજોય વાવાઝોડાએ રોક્યો ચોમાસાનો રસ્તો? આગામી દિવસોમાં સર્જાશે વિનાશ; ઘણા રાજ્યોમાં એલર્ટ
આ પણ વાંચો:મંતવ્ય વિશેષ/ઓફિસરનો દાવો – પૃથ્વીની બહાર પણ જીવન, અમેરિકા ગુપ્ત મિશનમાં વ્યસ્ત
