Surat News: સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે (CR Patil) આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પર નામ લીધા વગર રાજકીય પ્રહાર કર્યા હતા. સુરત મનપાની પ્રાથમિક શાળાઓમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પાટીલે દિલ્હીના શિક્ષણ મોડલના દાવાઓને લઈને કટાક્ષ કર્યો હતો.
પાટીલે (CR Patil) સુરતની સરકારી શાળાઓમાં થયેલા આધુનિક બાંધકામ અને સુવિધાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, દિલ્હીની સરકારી શાળાઓના મોડલના વખાણ કરનારા લોકો સુરતની શાળાઓની મુલાકાત લેશે તો પોતાના ‘શીશમહેલ’ને પણ ભૂલી જશે.
₹34.13 કરોડના 10 શાળા વિકાસકાર્યોનો પ્રારંભ
સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત કુલ ₹34.13 કરોડના ખર્ચે આશરે 10 શાળા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (CR Patil)ના હસ્તે મદનલાલ ધીંગરા શાળા નંબર 210 અને વિષ્ણુ સખારામ ખાંડેકર શાળા નંબર 142 ખાતે કાર્યક્રમ યોજાયો હતો.ઉધના વિસ્તારમાં જ ₹29.75 કરોડના ખર્ચે 9 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે સરથાણા ઝોનમાં ₹4.38 કરોડના ખર્ચે નવી શાળાના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
શહેરના વિવિધ ઝોનમાં શાળાઓનું આધુનિકીકરણ
મનપા દ્વારા સુરતના વિવિધ ઝોનમાં શાળાઓના નવા મકાનો અને આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ઉધના ઝોન-એમાં ₹13.21 કરોડના શાળા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.આ ઉપરાંત લીંબાયત, કતારગામ, સેન્ટ્રલ, રાંદેર અને સચીન-કનકપુર ઝોનમાં પણ શાળાઓના બાંધકામ અને વિવિધ સુવિધાઓના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.સરથાણા ઝોનમાં નવી શાળાના બાંધકામ માટે ₹4.38 કરોડના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
‘શીશમહેલને પણ ભૂલી જશો’: CR Patilનો કટાક્ષ
કાર્યક્રમમાં સંબોધન દરમિયાન સી.આર. પાટીલે (CR Patilસુરત મનપાની શાળાઓના બાંધકામનો ઉલ્લેખ કરીને AAP પર કટાક્ષ કર્યો હતો.પાટીલે જણાવ્યું હતું કે સુરતમાં આશરે 396 શાળાની બિલ્ડિંગો બની છે. તેમણે દાવો કર્યો કે એક રાજકીય પક્ષ દ્વારા સારું શિક્ષણ અને સારી શાળાની ઇમારતો અંગે કરવામાં આવતા દાવાઓની સરખામણીમાં સુરતની મનપા શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોવું જોઈએ.
પાટીલે કહ્યું હતું કે તેઓ આવા નેતાઓને સુરતની શાળાઓ જોવા માટે ખુલ્લું આમંત્રણ આપે છે અને અહીંની શાળાઓનું બાંધકામ જોયા બાદ તેઓ પોતાના ‘શીશમહેલ’ને પણ ભૂલી જાય તેવી સ્થિતિ હોવાનું જણાવ્યું હતું.
1.70 લાખ વિદ્યાર્થીઓ અને 5 હજારથી વધુ શિક્ષકો
પાટીલે સુરત મનપાની શિક્ષણ સમિતિની કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મનપાની શાળાઓમાં આશરે 1.70 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે 5 હજારથી વધુ શિક્ષકો શિક્ષણકાર્ય સાથે જોડાયેલા છે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મદદથી વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. કુપોષિત બાળકો માટે વધારાના પોષણક્ષમ આહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.આ ઉપરાંત મનપા દ્વારા વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ તેમજ એક જોડી બૂટ અને મોજાં વિનામૂલ્યે આપવામાં આવતા હોવાનો પણ કાર્યક્રમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સુરતની શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજકીય ચર્ચા તેજ
સુરત મનપાની શાળાઓમાં વિકાસકાર્યોના લોકાર્પણ સાથે જ રાજકીય નિવેદનોથી કાર્યક્રમ ચર્ચામાં આવ્યો છે. એક તરફ મનપા દ્વારા શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ વધારવાના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સી.આર. પાટીલે (CR Patil) આ જ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી પર રાજકીય પ્રહાર કર્યા છે.હવે પાટીલના આ નિવેદનને લઈને સુરત સહિત ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો:વસારી પૂર સ્થિતિ પર સી.આર. પાટીલની સમીક્ષા, 21 મોતની પુષ્ટિ; પૂરપીડિતોને મળશે આર્થિક સહાય
આ પણ વાંચો:નવસારીમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ પહોંચ્યા
આ પણ વાંચો:રાજનીતિમાં નવાજૂનીના ભણકારા! ફોર્મ રદ કરાવી ભાજપને જીતાડનાર નેતા કુંભાણી અને સી.આર. પાટીલ મળ્યા
