રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ પૂર ઝડપે વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1797 કેસ નોંધાયા છે, એક દર્દીનું મોત પણ થયું છે. સંક્રમણ દર પણ આઠ ટકાને વટાવી ગયો છે. હાલમાં દિલ્હીમાં પોઝિટિવિટી દર 8.18 ટકા છે.
ગુરુવારે દિલ્હીમાં કોરોનાના 1323 કેસ નોંધાયા હતા. જેની સરખામણીમાં એક દિવસમાં કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. આંકડા દર્શાવે છે કે રાજધાનીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 4843 થઈ ગઈ છે. જયારે કન્ટેનમેન્ટ ઝોનનો આંકડો પણ 190 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ એક હજારને વટાવી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો નથી, પરંતુ વધતા જતા કેસોએ ફરી એકવાર સરકારની ચિંતા વધારી છે.
નિષ્ણાતોના મતે, કેસ ચોક્કસપણે સામે આવી રહ્યા છે, પરંતુ કોઈમાં ગંભીર લક્ષણો નથી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પણ નથી. આ કારણસર સરકાર લોકોને પેનીક ન થવાની અપીલ કરી રહી છે.
