પોંડીચેરીમાં કોંગ્રેસ, કેરળમાં ડાબેરીઓ અને આસામમાં ભાજપ અને તમિલનાડુમાં અન્ના ડીએમકેનું શાસન છે. તમામ જોડાણો પુરી તાકાતથી કામે લાગ્યા છે.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
ભારતના રાજકારણીઓ પાસે જાણે કે બીજા કોઈ મુદ્દાઓ જ ન હોય તેમ ચૂંટણી ટાણે વ્યક્તિગત પ્રહારોને વધુ મહત્ત્વ અપાય છે. જો કે હવે આસામ, તમિલનાડુ પોંડીચેરી, કેરળમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પશ્ચિમ બંગાળમાં ૯૧ બેઠકોનું મતદાન પુર્ણ થયું છે અને ૨૦૩ બેઠકોનું મતદાન હવે એપ્રિલ માસના અંત સુધીમાં થશે. આ તમામ સ્થળોએ મતદાનની ટકાવારી ૭૫ ટકા આસપાસ રહી છે. આસામમાં ત્રણ તબક્કે ૧૨૬ બેઠકોનું તો પોંડીચેરીમાં ૩૦, કેરળમાં ૧૪૦ અને તમિલનાડુમાં ૧૪૦ બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે. આમ ચાર રાજ્યોની વિધાનસભાની ૫૩૦ બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે તો બીજી બાજુ પશ્ચિમ બંગાળની ૨૦૩ બેઠકો માટે પાંચ તબક્કામાં હવે પછી મતદાન થશે.
જ્યાં મતદાન પૂર્ણ થયું છે તે પોંડીચેરીમાં ચૂંટણી જાહેર થયાના ૨૦ દિવસ પહેલા કોંગ્રેસના સભ્યોના પક્ષપલ્ટાના કારણે રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યું છે. ત્યાં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ ડીએમકેનું શાસન છે અને કોંગ્રેસના મુખ્યમંત્રી નારાયણ સામી મુખ્યમંત્રી હતા. આ વખતે ત્યાં તમિલનાડુનો શાસક પક્ષ અન્ના ડીએમકે લડતો નથી. ડીએમકે કોંગ્રેસ સાથે નાનાભાઈ તરીકે છે તો ભાજપે કોંગ્રેસમાંથી અલગ પડી નવો પક્ષ રચનાર રંગરાજનની આગેવાની હેઠળની એન.આર.કોંગ્રેસને ટેકો આપ્યો છે અને પોતાના ૧૪ ઉમેદવાર ભાજપે મૂક્યા છે. તેમાંના ૭ પૂર્વ કોંગ્રેસીઓ જ છે. ટૂંકમાં ત્યાં ભાજપને પોતાની તાકાતથી નહિ પણ કોંગ્રેસના જોરે અને કોંગ્રેસની તાકાતથી ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિ છે.
જ્યારે આસામમાં હાલ ભાજપનું શાસન છે. આસામ ગણ પરિષદ મુખ્ય ભાગીદાર છે. જ્યારે કોંગ્રેસ અન્યએ પ્રાદેશિક પક્ષ અને ડાબેરીઓ સાથે ગઠબંધન બનાવી ચૂંટણી લડે છે. આસામમાં ૨૦૧૬માં પ્રથમ વખત ભાજપની સત્તા આવી હતી. આ પહેલાની સતત ત્રણ ટર્મ કોંગ્રેસનું શાસન હતું. જો કે ૧૯૮૨ના સમયગાળા આસપાસ ત્યાં બે વખત આસામ ગણપરિષદનું શાસન આવી ચૂક્યું છે અને ત્યાં પ્રફુલ્લકુમાર મહંતોની આગેવાની હેઠળ સરકારે શાસન કર્યું છે. ૨૦૧૬ના અપવાદને બાદ કરતાં ત્યાં કોંગ્રેસનું શાસન જ રહ્યું છે. આ વખતે કોંગ્રેસે પશ્ચિમ બંગાળ કરતા આસામને વધુ મહત્ત્વ આપ્યું છે અને ત્યાં કોંગ્રેસના લગભગ તમામ સ્ટાર પ્રચારકોએ જોરદાર પ્રચાર કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા વાડ્રા (ગાંધી) અનેક સભાઓ સંબોધી ચૂક્યા છે. ભાજપ વતી પણ પૂરી તાકાત કામે લગાડાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિતના આઠ કેન્દ્રીય પ્રધાનોએ વિવિધ વિસ્તારોમાં ચૂંટણી સભાઓને સંબોધી હતી. આસામ જાળવી રાખવા ભાજપે કોઈ કસર છોડી નથી હવે ત્યાં પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે તે માટે બીજી સુધી રાહ જોવી પડશે.
દક્ષિણમાં જ્યાંની સાક્ષરતા દેશભરમં મોખરે હોવાની વાસ્તવિકતા છે તે શિક્ષિત છતાં ઉદ્યમી પ્રજા છે. ત્યાં તેના સ્થાપના કાળથી અત્યાર સુધીમાં બે અપવાદને બાદ કરતાં કોંગ્રેસ પ્રેરિત મોરચો (યુડીએફ) અને ડાબેરીઓ પ્રેરિત મોરચો (એલ.ડી.એફ.) વચ્ચે સત્તાની અવરજવર ચાલું રહી છે. છેલ્લી ચાર ચૂંટણીથી તો પાંચ વર્ષ એલ.ડી.એફ.ની તો પાંચ વર્ષ કોંગ્રેસની સરકાર રહે છે. અત્યારે ડાબેરી મોરચાની સરકાર છે. વિજયન મુખ્યમંત્રી છે. જ્યાંથી દેશમાં કોરોનાનો પ્રવેશ થયો હોતો તે કેરળમાં ડાબેરી મોરચાએ કોરોનાકાળના પ્રારંભમાં કરેલી કામગીરી આદર્શ રહી હોવાનું ડબલ્યુ.એચ.ઓ. એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વીકાર્યુ છે. દરેક રેશનકાર્ડધારકના ખાતામાં સતત પાંચ માસ સુધી રૂા. ૭૫૦૦ જમા કરાવનાર રાજ્ય કેરળ છે અને તેથી જ તો ત્યાં સ્થાનિક ચૂંટણીમાં ડાબેરી મોરચો જીત્યો હતો. ગત વિધાનસભામાં ભાજપની માત્ર એક બેઠક હતી. આ વખતે બાહોશ કેન્દ્રીય અધિકારી અને મેટ્રોમેનના નામે વિખ્યાત શ્રીધરનની આગેવાની હેઠળ ભાજપે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી છે તેથી આ વખતનો જંગ વધુ રસપ્રદ છે. ખ્રિસ્તીઓના એક જૂથને ભાજપે પોતાની સાથે લેવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી બાજુ એલ.ડી.એફ.એ સત્તા જાળવવા અને યુડીએફે સત્તા જાળવવા પોતાની તમામ તાકાત કામે લગાડી હતી. ત્યાં પાંચ વર્ષ પરિવર્તનનો ક્રમ જળવાય છે કે પુનરાવર્તન થાય છે અને શ્રીધરનના દાવા પ્રમાણે ભાજપની સત્તા સાથે સંપૂર્ણ પરિવર્તન થાય છે તે માટે બીજી મે સુધી રાહ જોવી પડશે.
તમિલનાડુ કે જેમાં ૨૩૪ બેઠકો છે, જ્યાં મતદાન પૂર્ણ થયું છે ત્યાં અન્ના ડીએમકે ભાજપ મોરચો અને ડીએમકે કોંગ્રેસ મોરચો ઉપરાંત એક દુજે કે લીએ ફેઈમ કમલ હાસનના પક્ષ એમવાયએમ વચ્ચે મુખ્ય જંગ છે. બીજા તમિલ સુપરસ્ટાર રજનીકાંત પોતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણીજંગમાં ઉતર્યા નથી. જો કે કેન્દ્ર સરકારે ચૂંટણી પ્રક્રિયા ચાલુ હતી ત્યારે ફિલ્મ જગતના ભારતરત્ન જેવા એવોર્ડ ગણાતા દાદાસાહેબ ફાળકે એવોર્ડ રજનીકાંતને આપીને રજનીકાંતના સમર્થકો અન્ના ડીએમકે – ભાજપ જોડાણ ની તરફેણમાં મતદાન કરે તેવો દાવ ફેંક્યો છે તો ૨૩૪ પૈકી ૧૩૦ કરતાં વધુ બેઠકો પર કમલ હાસનનો પક્ષ એમ.વાય.એમ. પણ બરાબર લડત આપે છે. ત્યાં ત્રણ પ્રાદેશિક પક્ષ વચ્ચે જંગ છે. તો બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય રાજકીય પક્ષ અન્ના ડીએમકે અને ડીએમકેની આંગળીએ વળગી ગયા છે. તમિલનાડુમાં ૧૯૬૨ની ચૂંટણી બાદ ક્યારેય કોંગ્રેસ જીતી નથી. ડીએમકે અથવા તો અન્ના ડીએમકેનું શાસન જ રહ્યું છે. ત્યાં પણ ૨૦૧૧ અને ૨૦૧૬માં જયલલિતાની આગેવાની હેઠળ અન્ના ડીએમકે જીત્યો હતો. જો કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ત્યાં પેટાચૂંટણી સાથે ગણીએ તો તમામ બેઠકો ડીએમકે કોંગ્રેસના જોડાણ પાસે છે. ૨૦૧૬માં કોંગ્રેસ વિદાનસભાની ૩ બેઠકો અને ૨૦૧૯માં લોકસભાની ૪ બેઠકો કોંગ્રેસ જીતી હતી. જ્યારે ભાજપે તો આ બેમાંથી એક પણ ચૂંટણીમાં ખાતુ પણ ખોલ્યું નહોતું. આ ચૂંટણીમાં ભાજપ ૨૦ બેઠકો લડે છે તો કોંગ્રેસ ૩૦ આસપાસ બેઠકો પર મેદાનમાં છે.
ભલે ૨૩૪ બેઠકો ધરાવતા તમિલનાડુમાં એક જ તબક્કે મતદાન થયું હોય પરંતુ ૨૯૪ બેઠકોવાળા પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કાનું મતદાન છે તેમાં ૩ તબક્કામાં ૯૧ બેઠકોનું મતદાન પૂર્ણ થયું છે. ૨૦૩ બેઠકો બાકી છે હવે ત્યાં ભાજપ અને ડાબેરી-કોંગ્રેસની તમામ તાકાત કામે લાગશે. મમતા બેનરજીને પછાડવા માટે ભાજપ કોઈ કસર છોડશે નહિ અને ડાબેરી – કોંગ્રેસ જોડાણ ત્યાં કોઈ અસરકારક કામગીરી કરી શકશે નહિ તેવું ચિત્ર છે.