ગાંધીનગર,
રાજ્ય સરકાર તરફથી ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતું આકસ્મિક વીમા કવચ બમણું કરીને ૨ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે, જે આ પહેલા ૧ લાખ રૂપિયા હતું.
જો કે આ સહાય મેળવવા માટે પોસ્ટમોર્ટમ કરાવું જરૂરી હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી કુલ ૨.૪૯ કરોડ ખેડૂતોને ફાયદો થશે. જો કે આ પહેલા આ આંકડો ૭૩ લાખ હતો.
ગુરુવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને આ ખેડૂતલક્ષી જાહેરાત કરવામાં આવી હતી.
નીતિન પટેલના જણાવ્યા અનુસાર, ખેડૂતોને થતી ગંભીર ઈજાઓ માટે પણ આકસ્મિક રકમ વધારીને ૧ લાખ રૂપિયા કરવામાં આવી છે. જે આ પહેલા ૫૦ હજાર રૂપિયા છે.
તેઓએ જણાવ્યું હતું કે, દર વર્ષે અંદાજે ૧૫૦૦ જેટલા ખેડૂતોને અકસ્માત થતા હોય છે અને સરકાર દ્વારા વાર્ષિક ૭૫ થી ૮૦ કરોડ રૂપિયા વીમા પ્રીમિયમ તરીકે આપવામાં આવશે. જે આ પહેલા ૩૦ થી ૩૫ કરોડ રૂપિયા આપવામાં આવતું હતું.
આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, વીમા પ્રીમિયમની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે અને આ વીમા કવચનો ફાયદોતેઓના પત્ની અને સંતાનોને પણ મળશે.
બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં ચર્ચાતા ખેડૂત લોન માફી અંગેના મુદ્દે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને મૌન સેવવામાં આવ્યું છે.
વિપક્ષ દ્વારા સરકારની આ જાહેરાતને “ખોદયો ડુંગર નિકલા ચૂહા” સાથે સરખાવી હતી.