ઇઁગ્લેન્ડ સામે પૂણેમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતની હાર થઇ છે ત્યારે બે નિર્ણય એવા હતા જેણે ભારતના પરાજયમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એક તો બેન સ્ટોક્સને થર્ડ એમ્પાયર દ્ધારા રન આઉટ ન આપવાનો નિર્ણય અને બીજો હાર્દિક પાસે બોલિંગ ન કરાવવાની કોહલીની ભૂલ. શુક્રવારે રમાયેલી આ મેચમાં હાર્દિક પાસે બોલિંગ ન નંખાવવાના કોહલીના નિર્ણયથી પૂર્વ ભારતીય ઓપનિંગ ખેલાડી અને વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ ખાસ્સા નારાજ છે.
આ મેચમાં ભારતીય ટીમે છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. હાર્દિક જેને ટી 20 ઇન્ટરનેશનલ સીરીઝમાં પાંચમા ખેલાડી તરીકે રમાડવામાં આવ્યો હતો તેણે એક પણ બોલ નહોતો નાંખ્યો. આ ખરાબ નિર્ણય એટલા માટે ધ્યાનમાં આવ્યો કારણ કે ઇંગ્લેન્ડના જૉની બેરિસ્ટો અને બેન સ્ટોક્સે ભારતીય સ્પિનર્સના છોતરા કાઢી નાંખ્યા હતા. વિરાટ કોહલીનું કહેવું હતું કે આવનારા થોડાક મહિનામાં ભારતીય ટીમની સીરીઝને ધ્યાનમાં લેતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
જો કે સહેવાગ આ નિર્ણય સાથે સંમત નથી. તેમણે કહ્યું કે આવનારા થોડાક મહિનાઓમાં આઇપીએલ સિવાય કોઇ ક્રિકેટ રમવાનું નથી. ત્યારે હાર્દિક પંડ્યા પાસે 3 કે 4 ઓવર નાંખી શકાઇ હોત. સહેવાગે કહ્યું કે ભારતીય ટીમે હવે ફક્ત આઇપીએલ રમવાની છે. તો તમે કહી રહ્યા છો કે આપણને સીરીઝ હારવાથી કોઇ ફરક નથી પડતો કારણ કે આપણે હાર્દીકનો વર્ક લોડ મેનેજ કરવાનો છે. જો વર્કલોડ મેનેજમેન્ટમાં તે 4-5 ઓવર પણ ન ફેંકી શકે તો આ ખોટુ છે. 50 ઓવર ફિલ્ડિંગ ભરવાથી પણ થાક આવે છે તો તેમાં જો તમે 4-5 ઓવર જોડી દો તો તેનાથી કોઇ ખાસ ફર્ક નહીં પડે.