એક ડાયમંડ કિંગ કહેવાતા બિઝનેસમેનથી કૌભાંડીકિંગ બનવા સુધી નિરવ મોદીના મામા મેહુલ ચોકસીની કહાનીમાં ઘણા વળાંકો છે. તેનું ગીતાંજલી ગ્રુપ પોતાના ચરમના દિવસોમાં દુનિયાની સૌથી મોટી બ્રાંડેડ બ્રાંડ જ્વેલરી રિટેલર્સમાં સામેલ થઇ ગયુ હતું અને ભારતના સંગઠિત જ્વેલરી બજારમાં તેની ભાગીદારી પચાસ ટકાથી વધારે થઇ ગઇ હતી. પંજાબ નેશનલ બેંક (PNB) ગોટાળાનો આરોપી અને ભાગેડુ હિરાનો વેપારી મેહુલ ચોકસી ક્યુબા ભાગતી વખતે રસ્તામાંથી ડોમિનિકમાં પકડાઇ ગયો.
ગુજરાતના પાલનપુરમાં અભ્યાસ કર્યા પછી કારોબારમાં પોતાનું કિસ્મત અજમાવનારો મેહુલ ચોકસી ૧૪ હજાર કરોડથી વધારે પંજાબ નેશનલ બેંક (PNB) ગોટાળાનો મુખ્ય આરોપી છે. મેહુલ ચોકસી ૨૩મીની સાંજે એન્ટીગુઆ સ્થિત તેના ઘરેથી ગાયબ થયો હતો. તે પછી તે લાપત્તા બન્યો હોવાનો રીપોર્ટ પણ નોંધાયો છે. ભારત સરકાર એન્ટીગુઆ સરકાર પર દબાણ બનાવી રહી છે કે તે ભારતના ભાગેડુને પરત આપે. મેહુલ તેનો વિરોધ કરતો રહ્યો છે. મેહુલ ચોકસીને સરકારી એજન્સીઓ અને કોર્ટ તરફથી કેટલીવાર સમન્સ મોકલવામાં આવ્યા છે. પણ તેણે દરેક વખતે ભારત આવવાનો ઇન્કાર કરી દીધો છે.
ચોકસી અનેક પ્રકારના બહાના બનાવતો રહ્યો છે. તે કહેતો આવ્યો છે કે જો તે ભારત આવશે તો ભીડ તેને મારી નાખશે. તે કોઇ વાર એવુ પણ કહે છે કે તે બિમાર છે અને સારવાર માટે એન્ટીગુઆ આવ્યો છે તે ભાગેડું નથી. બિમાર હોવાને લીધે પ્લેનમાં તે લાંબો સફર કરી શકે તેમ નથી. હવે એન્ટીગુઆના વડાપ્રધાન ગૈસટન બ્રાઉન એક વખત મેહુલને ભારત મોકલવાની જાહેરાત કરી ચૂકયા છે. ૨૦૧૯માં તેમણે કહ્યુ હતુ કે કોઇ કાયદાકીય વિકલ્પ નહી બચે તો તેને ભારતને સોપી દેવાશે.
શાનદાર હતી જીવનશૈલી
મેહુલ ચોકસીનો જન્મ 5 મે 1959માં મુંબઇમાં થયો હતો. તે એક શાકાહારી જૈન પરિવારમાંથી આવે છે. તેણે ગુજરાતના પાલનપુર સ્થિત જીડી મોદી કોલેજમાં કોમર્સમાં ગ્રેજ્યુએશન લીધુ છે. તેણે વર્ષ 1975માં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં પોતાની કારકીર્દીની શરૂઆત કરી અને વર્ષ 1985માં તેના પિતા પાસેથી ગીતાંજલી જેમ્સના ધંધાની લીડરશીપ લીધી. તેના ત્રણ સંતાન છે. એક દિકરો અને બે દિકરીઓ.
મેહુલ ચોકસી મોટેભાગે મુંબઇની ગ્રાંડહ્યાત હોટલના ઇટાલીયન રેસ્ટોરંટમાં જોવા મળતો હતો. તે મોટેભાગે પોતાની અલગ અલગ ઇવેન્ટમાં ૨૬ ફિલ્મ સ્ટાર્સમાંથી કોઇના કોઇની સાથે ફોટો ખેંચાવતો હતો. જે તેની જ્વેલરી બ્રાંડનું એન્ડોર્સમેન્ટ કરતાં હતાં. તેને કાળા કલરની મર્સીડિઝ ઇ-કલાસ કારો પસંદ છે. અમેરીકાનું સૈનફ્રાંસિસ્કો તેનું મનપસંદ શહેર છે.
તેણે પોતાના કારોબારમાં લગભગ ૭૦ જેટલી બ્રાંડ ડેવલોપ કરી હતી. તેમાંથી 20-30 તો ખુબ જ પ્રખ્યાત થઇ હતી. નક્ષત્ર, ડી ડમાસ (D’damas) ગિલ્લી, Asmi, વિવાહ ગોલ્ડ, Sangini, Maya, Giantti, World of Solitaire જેવી તમામ પ્રખ્યાત બ્રાંડ ગીતાંજલી સાથે જોડાયેલી હતી. ગીતાંજલીના શંઘાઇ અને બેઇજીંગ જેવા ચીનના શહેરોમાં ૨૦થી વધારે સ્ટોર હતા.
ગીતાંજલી ગ્રુપ પોતાના ચરમના દિવસોમાં દુનિયાની સૌથી મોટી બ્રાંડેડ જ્વેલરી રિટેલર્સમાં સામેલ થઇ ગયુ હતું. તે પોતાના લગભગ ૪૦૦૦ શોરૂમ મારફતે જ્વેલરીનો ધંધો કરતો હતો. અને ભારતમાં જ્વેલરી બજારમાં તેની પચાસ ટકાની ભાગીદારી થઇ ગઇ હતી. મેહુલ ચોકસી આ ગ્રુપનો ચેરમેન છે. ગીતાંજલી જેમ્સ BSE અને NSEમાં લીસ્ટેડ હતી. તેનું વર્ષનો ૧૩ હજાર કરોડ રૂપિયાથી વધારેનો ધંધો હતો. પણ હવે તે બંધ છે. ચોકસી ન માત્ર નિરવ મોદીનો મામા છે. પણ તે એવી ત્રણ કંપનીઓમાં નિરવ મોદીનો ભાગીદાર પણ છે જેમની કેટલાય મામલાઓમાં એજન્સીઓ તપાસ કરી રહી છે. મેહુલ ચોકસીએ હૈદરાબાદમાં એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ ડેવલોપ કર્યો હતો.
દુનિયાભરમાં ફરવાનો શોખ
તેના બિઝનેસમાં બ્રાંડિંગ અને વેલ્યુ ચેન પર વધારે જોર હતું. તેણે બ્રોકર્સ, મિડલમેન, ફેક્ટરી, હોલસેલર જેવી વચ્ચેની તમામ કડીઓ હટાવીને સીધા તેના શોરૂમથી વેચાણનું મોડલ શરૂ કર્યુ હતું અને તે પ્રકારે તેના નફામાં વધારો થયો. તેણે કેટલીય યુરોપિય બ્રાંડ સાથે ટાઇઅપ કર્યું અને તેમને ભારતમાં પોતાનો ધંધો વધારવા માટે મદદ કરી. મેહુલ ચોકસી દુનિયાભરમાં યાત્રાઓ વધારે કરતો હતો. તે મોટેભાગે વિકેન્ડમાં વેનિસ, ફલોરેંસ કે પેરિસમાં જોવા મળતો હતો. અને જો તે વિકેન્ડમાં મુંબઇમાં હોય તો સમુદ્રમાં પોતાના યાટ(yacht)માં બેસીને આનંદ માણતો હતો.
શું હતો PNB ગોટાળો?
મેહુલ ચોકસી અને તેની કંપની ગીતાંજલી જેમ્સ પર એવો આરોપ છે કે તેમણે પંજાબ નેશનલ બેંકના કેટલાક અધિકારીઓ સાથે મળીને ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધારેનો ગોટાળો કર્યો. તેમણે અવારનવાર બેંકમાંથી લેટર ઓફ અંડરટેકિંગ (LoU) મેળવ્યો અને ફોરેન લેટર ઓફ ક્રેડિટમાં વધારો કરતાં રહ્યા. તેના લીધે બેંકને ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધારેનું નુકશાન થયું.
તે અંતર્ગત PNBના બે અધિકારીઓની મિલીભગથી ખોટા લેટર ઓફ અંડરટેકિંગ મેળવ્યા. જે બેંકના નામે હતા. આ અંડરટેકિંગ એક પ્રકારે PNB દ્વારા અપાઇ રહેલી ગેરંટી હતી. આ અંડરટેકિંગનો મતલબ હતો કે આટલા રૂપિયાના દેવાનો ઉપયોગ હીરાની આયાત માટે કરવાનો હતો. તેમાં પણ રીઝર્વ બેંકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. કારણ કે નિયમ પ્રમાણે એલઓયુંનો ઉપયોગ માત્ર ત્રણ મહિના સુધી આયાત કરવા માટે કરી શકાય છે. આ એલઓયું બ્રિટીસ આઇલેન્ડ અને બીજા દેશોની ખોટી કંપનીઓના નામે કરવામાં આવી રહ્યા હતા.
માર્ચ ૨૦૧૮માં એક સ્પેશિયલ પીએમએલએ કોર્ટે મેહુલ ચોકસી અને તેના ભાણીયા નિરવ મોદી સામે બિન જામીન પાત્ર વોરંટ ઇશ્યુ કર્યો. તે અંતર્ગત પંજાબ નેશનલ બેંકના છ અને ચોકસી એન્ડ નિરવની કંપનીઓના છ અધિકારી-કર્મચારીની પણ ધરપકડ થઇ ચૂકી છે. ચોકસીને ભારત સરકારે ભાગેડૂ જાહેર કર્યો છે. તેના પર મની લોન્ડ્રીંગ, છેતરપિંડી અને બીજા અનેક ગુનાહીત કેસ નોંધાયેલા છે.
કેન્દ્રીય તપાસ એજન્સીઓ અત્યાર સુધીમાં મેહુલ ચોકસીના ૧પ ફલેટ, મુંબઇમાં ૧૭ ઓફિસ, કોલકત્તામાં એક મોલ, મુંબઇના અલીબાગમાં ચાર એકરનું ફાર્મ હાઉસ, મહારાષ્ટ્રના નાસિમ, નાગપુર અને પનવેલ તેમજ તમિલનાડુંના વીલ્લુપુરમમાં કુલ મળીને ૨૩૧ એકર જમીન જપ્ત કરવામાં આવી છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં (ED)એ ગીતાંજલી ગ્રુપ અને તેના ડાયરેક્ટરમેહુલ ચોકસીની 14.45 કરોડ રૂપિયાની પ્રોપર્ટી સીઝ કરી હતી. તેમાં મુંબઇના ગોરગાંવમાં 1460 વર્ગ ફૂટનો એક ફલેટ તે ઉપરાંત ગોલ્ડ, પ્લેટિનમની જ્વેલરી, ડાયમંડ, સ્ટોન, પર્લ-સિલ્વર નેકલેસ, ઘડિયાળો, મર્સીડિઝ બેન્જ કાર વગેરે સામેલ હતા. ઇડી તે પહેલાં પણ તેની 2,550 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી ચૂકી છે.
મેહુલની સાથે ભારતીય બેંકોની સાથે છેતરપિંડીમાં સામેલ નિરવમોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. તેના ભારત પ્રત્યારોપણ નો કેસ ચાલી રહ્યો છે. મેહુલ ચોકસી અને નિરવ મોદી બંને હિરાનો વેપાર કરતાં હતા. મેહુલ વર્ષ ૨૦૧૮થી જ કેરેબિયન દ્રીપસમુહના એન્ટીગુઆમાં હતો અને કેન્દ્રીય તપાસ એજન્સી, ઇડી જેવી અનેક એજન્સીઓ તેના પ્રત્યારોપણનો પ્રયાસ કરી રહી છે.
કેવી રીતે થયો હતો ખુલાસો
સૌથી પહેલાં પંજાબ નેશનલ બેંકે 29 જાન્યુઆરી 2018એ સીબીઆઇમાં FIR દાખલ કરાવીને ખુલાસો કર્યો કે તેના કેટલાક અધિકારીઓએ 16 જાન્યુઆરીએ 280.7 કરોડ રૂપિયાના ખોટા LoU આપ્યા છે. જો કે બાદમાં જ્યારે પરદો ઉંચકાયો તો ખબર પડી કે આ ગોટાળો તો ૧૪ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે રકમનો છે.
એન્ટીગુઆ જવાનું પહેલાંથી જ આયોજન હતું
મેહુલ ચોકસી અને તેના ભાણીયા નિરવ મોદીએ માર્ચ 2017થી મે 2017ની વચ્ચે પંજાબ નેશનલ બેંકમાંથી રકમ ઉપાડી હતી. પીએનબી પાસેથી લગભગ 14,000 કરોડ રૂપિયા મળ્યા પછી મેહુલે મે 2017માં એન્ટીગુઆની નાગરિકતા માટે અરજી કરી દીધી હતી. જેને ભારતીય એજન્સીઓએ ક્લીનચિટ પણ આપી દીધી હતી. 4 જાન્યુઆરી 2018એ તે દુબઇ માટે નિકળી ગયો અને ત્યાંથી એન્ટીગુઆ પહોચ્યો. જ્યાંથી 15 જાન્યુઆરી 2018એ ઓથ ઓફ અલાયંસ(નાગરિકતા માટે સપથ) લીધી.
કેવી રીતે બન્યો નાગરિક
એન્ટીગુઆ વેસ્ટઇન્ડિજ દ્રીપ સમુહોમાંથી એક દ્રીપ છે. જેની વસતી ૭પ હજાર જેટલી છે. આ કેરેબિયન દ્રીપમાં કોઇ પણ વધારે રૂપિયા આપીને નાગરિકતા મેળવી શકે છે. એન્ટીગુઆના કાયદા પ્રમાણે જો કોઇ વ્યક્તિ તેના નેશનલ ડેવલોપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફં૯માં એક લાખ ડોલરનું રોકાણ કરે છે તો તેને એન્ટીગુઆની નાગરિકતા આપી શકાય છે. મેહુલ ચોકસીએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે કહ્યુ હતુ કે તે કેરેબિયન દેશોમાં તેનો ધંધો વધારવા માંગે છે. અને તેના લીધે તેને ૧૩૦થી વધારે દેશોમાં વિઝા વિના યાત્રા કરવાની સુવિધા મળી ગઇ હતી.
શા માટે અસંભવ લાગે છે પ્રત્યાર્પણ
જોકે હવે ચોકસી એન્ટીગુઆ અને બારબુડાનો નાગરિક બની ચૂકયો છે. અને ત્યાંના પ્રત્યર્પણ એક્ટ 1993ની કલમ 5 અંતર્ગત કોઇ પણ નાગરિકનું ભારતમાં પ્રત્યાર્પણ થઇ શકતું નથી. તેના લીધે એન્ટીગુઆથી તેનું પ્રત્યર્પણ લગભગ અસંભવ જોવા મળી રહ્યુ છે. તેનું કારણ ત્યાંના કાયદા છે. જો તે એવું સાબિત કરી દે કે તેના પર રાજકીય બદલા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે તો તેને ભારત લાવવો શક્ય નથી. dailyo.in ના એક રીપોર્ટ પ્રમાણે ચોકસીના વકીલ Dr David Dorsett એ એવો પ્રયાસ પણ કર્યો હતો. તેણે એવુ નિવેદન આપ્યુ હતુ કે ચોકસી ભારતના વિપક્ષી દળ કોંગ્રેસ સાથે સંબંધો ધરાવે છે.