Porbandar Rain: પોરબંદર શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાડી વિસ્તારમાં સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીથી સવાર સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 18 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ગોઠણડૂબ તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે. પોરબંદરમાં ધીમીધારે વરસાદ હજુ યથાવત છે.
પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં સાત ખેતમજુરો ફસાયા હતા. ખેત મજુરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક તમામ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ. ત્યારે બીજી તરફ ફસાયેલા લોકોને પણ બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. જેમાં 13 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે આ દિલધડક રેસ્ક્યુ ઑપરેશનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
પોરબંદર શહેરના રાણાવાવમાં સાડા છ ઈંચ વરસાદ રાત્રી દરમિયાન જ નોંધાયો હતો. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી રવિ પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા હતા. પૂરના કારણે લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા. જરૂરી ચીજવસ્તુઓ માટે ઘરેથી નીકળેલા લોકોને વાહન બંધ હોવાથી પરત ફરવું પડ્યું હતું. રવિપાર્કના સ્થાનિકોએ પાલિકા પાસે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે. પોરબંદરમાં ભારે વરસાદના કારણે હનુમાન રોકડિયા પાસે આવેલી સોસાયટીમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે લોકો ઘરોમાં ફસાયા છે. સોસાયટીમાં રહેતા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા.
રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ સેવા ખોરવાઈ ગઈ છે. પોરબંદરમાં ભારે વરસાદને કારણે રેલ સેવાને અસર થઈ છે. 3 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે જ્યારે 2 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર આજથી સંપૂર્ણ રદ રહેશે. રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર સમાપ્ત થશે. દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર સમાપ્ત થશે.
રાજકોટ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉપલેટા તાલુકાનો વેણુ-2 ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચી ગયો છે. વેણુ-2 ડેમની કુલ જળ સપાટી 54.16 ફૂટ સાથે 50.85 ફૂટે પહોંચી છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 12 હજાર 607 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ઇનફ્લો જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાથી વહીવટી તંત્રએ સલામતીના પગલા તરીકે ગધેથર, વરજાંગજળીયા, નાગવદર, મેઢા ટીંબડી, નીલખા સહિતના નીચેના વિસ્તારોના ગામોને એલર્ટ કર્યા છે. પ્રશાસને લોકોને નદી વિસ્તારમાં ન જવાની સૂચના આપી છે.
આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, રાજ્યમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ
આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું
